SANJ SAMACHAR | Date: 23-05-2024 Thursday | Rajkot |
www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net |
રાજકોટ, તા.23
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો સતત 42 ડિગ્રીની ઉપર જ નોંધાઈ રહ્યો છે. તેમજ રાત્રીનું તાપમાન પણ અસામાન્ય નોંધાઈ રહ્યું છે. આવી કાળઝાળ ગરમીમાં બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા, વધુમાં વધુ પાણી પીવાનું સાથોસાથ સ્વાસ્થ્યની કાળજી રાખવા સહિતના સૂચનો સરકાર દ્વારા કરવામાં આપવામાં આવતા હોય.
કાળઝાળ ગરમીમાં પાણી સૌથી મહત્વનો સ્ત્રોત છે. પરંતુ હાલ કેટલીક જગ્યા પીવાના પીણાની સમસ્યાને લઇને હાલાકી ભોગવતા અનેક પ્રશ્નો સામે આવતા હોય છે. ઘણી વખત એવું થતું હોય છે કે, અનેક રજૂઆત કરી હોવા છતાં પ્રશ્નોના યોગ્ય નિકાલ આવતા નથી અને પાણી માટે લોકોને વલખાં મારવા પડતા હોય છે. આવો જ એક પીવાના પાણી માટેનો પ્રશ્નો રાજકોટ જિલ્લાના પારેવડાં ગામમાં જોવા મળ્યો છે.
રાજકોટ જિલ્લાના પારેવડા ગામે છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણી માટે બહેનો અને ભાઈઓ રણચંડી બન્યા છે. ત્યારે આજે ગામના લોકોએ ગ્રામ પંચાયતની ઓફિસએ હોબાળો મચાવ્યો હતો. ઘણા સમયથી આ ગામમાં માલ ઢોર અવેળા ખાલી ખમ જોવા મળી રહ્યા છે. આ બાબતે ગામના સરપંચ વાટીયા વાલજીભાઈ સવાભાઈ મંત્રી તથા સરપંચને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ તલાટી મંત્રી સીમાબેન શિયાને બહેનો દ્વારા ક્યારે અમારા ગામને પાણી મળશે? તેવા આક્રોશ સાથે રજૂઆત કરવામાં આવી હતી.
સ્થાનિક તલાટી મંત્રી સહિતનાને રજૂઆત કરી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા આજે ગામની બહેનો બેડા લઈને ગ્રામ પંચાયતમાં હોબાળો મચાવ્યો હતો. તાત્કાલિક ધોરણે પાણી પુરવઠા વિભાગનો સર્વે કરીને ગામને પાણી મળે એવી સમસ્ત ગામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.