![]() |
![]() SANJ SAMACHAR | Date: 28-06-2024 Friday | Rajkot |
|
♦ લેખિત ફરિયાદ પછી ઉપરથી સુચના આવતાં દબાણ હટાવવાનું ‘નાટક’ કર્યું..!!!
જામનગર તા. 28
જામ ખંભાળિયાના શારદા સીનેમા રોડ જેવા મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર ખડકી દેવાયેલા દબાણને હટાવાયા પછી કલાકોમાં જ દબાણ "જેમ હતું તેમ થઇ જતાં નગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉભા થયા છે.
ખંભાળિયાના શારદા સીનેમા રોડ પર એક દુકાનદારે ટ્રાફિકને અડચણ થાય તે રીતે અને બાજુના વેપારીને નડતરરૂપ બને તેવી રીતે સરકારી જમીન પર કેબીનનું દબાણ કર્યું હતું.
આ દબાણ હટાવવા મૌખિક રજુઆતો પછી ભવ્ય એ. ગોકાણી નામના વેપારીએ નગરપાલિકા, પોલીસ, મામલતદાર વગેરે કચેરીઓમાં અવાર-નવાર લેખિત રજુઆતો કરી હતી. આમ છતાં કોઇ તંત્રએ આ દબાણ નહીં હટાવતાં સરકારી પોર્ટલ પર ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે ઉપરથી સુચના આવતાં તા.27ના બપોરે નગરપાલિકાના તંત્રએ આ દબાણ હટાવવા કાર્યવાહી કરી હતી.પરંતુ આશ્ચર્યજનક રીતે આ હટવાયેલી કેબીન કલાકોમાં જ જાહેર માર્ગ પર ગોઠવાઇ ગઇ છે.
આ સ્થિતિ જોતા એમ લાગે છે કે, આ દબાણ હટાવવાની ત:વીરો પાડી ઉપરી અધિકારીને મુર્ખ બનાવવામાં આવ્યા છે કે શું? સવાલ એ પણ ઉભો થાય છે કે આ દબાણવાળી કેબીન નગરપાલિકાએ જપ્ત શા માટે નથી કરી? શું દબાણકારની દાદાગીરી સામે નગરપાલિકાનું તંત્ર વામણું છે? ખંભાળિયામાં આ દબાણનો કિસ્સો ભારે ચકચારી બન્યો છે.