SANJ SAMACHAR | Date: 01-07-2024 Monday | Rajkot |
www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net |
જામનગરમાં ખાદ્યચીજ વસ્તુમાંથી જીવાત નીકળવાનો સિલસિલો પણ યથાવત રહેવા પામ્યો છે. આ વખતે શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા વિલિયમ જ્હોન્સ પિત્ઝાના સૂપમાથી વંદો નીકળ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ અંગે ગ્રાહકે ફૂડ શાખામાં ફરિયાદ કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થઈ હોવાના ધગધગતા આરોપ લાગી રહ્યા છે. જેને લઇને ફડ શાખાની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર જામનગરમાં જ રહેતા યાજ્ઞિકભાઈ મકવાણા નામના ગ્રાહક શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ વિલિયમ જ્હોન્સ પિત્ઝામાં પિઝા ખાવા ગયા હતા આ દરમિયાન તેઓના સૂપમાંથી વંદો નીકળ્યો હતો. આ અંગે યાગ્નિક ભાઈએ સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોતે જ્યારે પીઝા ખાવા ગયા હતા.
ત્યારે તેઓના બાજુના ટેબલ પર બેસેલા વ્યક્તિઓના સૂપમાંથી વંદો નીકળ્યો હતો અને આ સુપ પોતે પણ પીધું હતું. આથી મે તાત્કાલિક રેસ્ટોરન્ટના સંચાલકોને ફરિયાદ કરી હતી. આ દરમિયાન રેસ્ટોરન્ટના સંચાલકોએ લાજવાને બદલે ગાજ્યા હતા.
મામલો દબાવી દેવા માટે થઈ અને સંચાલકોએ એવો ઊંધો જવાબ આપ્યો હતો કે તમારા તમારા સુપમાંથી વંદો નથી નીકળ્યો તો તમે શું કામ ફરિયાદ કરો છો અને ઊંચા અવાજે વાત કરી હતી. ત્યારબાદ યાગ્નિક ભાઈએ ફૂડ શાખામાં અને જામનગર મહાનગરપાલિકાના કમિશનરને પણ રજૂઆત કરી હતી.
યાગ્નિક ભાઈએ આરોપસર જણાવ્યું હતું કે તેઓએ તાત્કાલિક ઓનલાઇન ફરિયાદ કરવા છતાં પણ ફૂડ શાખાના આળસુ અધિકારીઓ દ્વારા ત્રણ કલાક સુધી કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નહોતો અને ત્યારબાદ બે-ત્રણ દિવસ પછી એવો ફોન કરી અને જણાવવામાં આવ્યું હતું કે અમે આ રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી.
જ્યાં ચેકિંગ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુ સામે આવી નથી. ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે જો ત્રણ દિવસ બાદ ચેકિંગ કરવામાં આવ્યું હોય તો સ્વાભાવિક છે કે આ જગ્યાએ કોઈ પણ વાંધાજનક વસ્તુ સામે આવી શકે નહીં કારણકે કસૂરવાર સંચાલકો દ્વારા તાત્કાલિક અહીં ચોખાઈ કરી લેવામાં આવે છે.
જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખામાં ફરજ બજાવતા અધિકારી પરમારે સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ ચેકિંગ અર્થે ગયા હતા જોકે આ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી. તો આ એકમના માલિકે સમગ્ર પ્રકરણને બનાવટી અને ખોટું હોવાનું કહી રોફ જમાવ્યો હતો.અહીં સવાલએ પણ થાય છે કે ફૂડ શાખા દ્વારા જે અઠવાડિયા એક રિપોર્ટ બહાર પાડવામાં આવે છે.
તેમાં જામનગર મહાનગરપાલિકામાં જે પણ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોય તે એકમના નામ સાથેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જોકે આજે જ આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ આ એકમમાં ચેકિંગ કરી હોય તેવું કોઈ સત્તાવાર જાહેર થયું નથી. એથી ફૂડ શાખાની કામગીરી સામે લોકોમાં સો મણનો સવાલ ઉભો થઈ રહ્યો છે.