![]() |
![]() SANJ SAMACHAR | Date: 25-05-2024 Saturday | Rajkot |
|
(મિલાપ રૂપારેલ) અમરેલી,તા.25
તાજેતરમાં સમગ્ર રાજયમાં અનેક વિસ્તારો ઉષ્ણ લહેર છે. આ સ્થિતિમાં વન્ય જીવોને પાણી મળી રહે તે માટે અમરેલી વન તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં શેત્રુંજી વન્યજીવ વિભાગ દ્વારા સિંહ સહિતના વન્યજીવોને ઉષ્ણ લહેરથી બચાવવા માટે પીવાના પાણીના પોઈન્ટની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પોઈન્ટ પર સમયાંતરે પાણી રિચાર્જ કરવામાં આવે છે. વન્યજીવોને તરસ છીપાવવા માટે દૂરસુધી જવું ન પડે તે હેતુ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એશિયાઈ સિંહોના રહેણાંક વિસ્તાર એવા અમરેલી જિલ્લાના વિસ્તારોમાં સિંહો માટે વિશેષ કાળજી લેવાનો પ્રયાસ વન તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
વન વિભાગ દ્વારા વિવિધ પ્રકારે આ પોઈન્ટ પર પાણી ભરવામાં આવી રહ્યું છે. જે પૈકીના કેટલાકસૌર અને પવન ઉર્જાથી સંચાલિત છે તો કેટલાક પોઈન્ટ પર ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે અમરેલી જંગલ વિસ્તારમાં સિંહ સહિતના વન્યજીવો માટે પીવાના પાણીના પ0 પોઇન્ટ કાર્યરત છે. વર્ષ ર0ર3-ર4માં અમરેલી જંગલ વિસ્તારમાં વન્યજીવો માટે પીવાના પાણીની વધુ સગવડ થાય તે માટે નવા 17 પોઇન્ટ બનાવવામાં આવ્યા છે.
આ વ્યવસ્થા અંગેની સમીક્ષા કરવાના હેતુથી પાલીતાણા-શેત્રુંજી વન્યજીવ વિભાગના નાયબ વન સંરક્ષક જયન પટેલ દ્વારા વનવિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. નાયબ વન સંરક્ષકએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.