![]() |
![]() SANJ SAMACHAR | Date: 01-07-2024 Monday | Rajkot |
|
જામનગર તા.1: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા અને રાજકોટમાં કારખાનું ધરાવતા એક વેપારી વ્યાજખોરનો ભોગ બન્યો છે. તેઓએ કાલાવડ તાલુકાના નિકાવા ગામના એક કરિયાણાના વેપારી પાસેથી 1.55 લાખની રકમ 30 ટકા જેવા વ્યાજે લીધી હતી. જે ભરપાઈ કરવા છતાં આરોપીએ 3 લાખ ઊપરાંતની ઉઘરાણી કરતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો જ્યાં પોલીસે ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ ચકચારી પ્રકરણની જાણવા મળતી વિગત અનુસાર મૂળ રાજકોટના વતની અને હાલ કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા અને શાપર વેરાવળમાં કારખાનું ધરાવતા ચિરાગ વલ્લભભાઈ ઘોડાસર નામના કારખાનેદારે પોતાના ધંધાની જરૂરિયાતને લઇને કાલાવડના નિકાવા ગામમાં રહેતા અને અનાજ કરિયાણાની દુકાન ચલાવતા અમિતભાઈ ભાયાણી પાસેથી 1,55000 રૂપિયા 30 ટકા જેવા જંગી વ્યાજે લીધા હતા.
બાદમાં વેપારીએ પ્રતિદિન 14,500 રૂપિયા લેખે વ્યાજ ચૂકવવાનું શરૂ રાખ્યું હતું. પરંતુ પાછળથી ધંધામાં ખોટી જતાં વ્યાજ દેવાનું બંધ કર્યું હતું, અને તેની મુદ્દલ રકમ 1,55,500 રોકડા ચૂકવી આપ્યા હતા. તેમ છતાં આરોપી કરિયાણાના વેપારી દ્વારા હજુ ત્રણ લાખ રૂપિયાનું વ્યાજ ચૂકવવાનું બાકી છે, તેમ કહી ધમકીઓ આપી હતી.
પરિણામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકપમાન લઈ જવાયો હતો જયાં ચિરાગભાઈ ઘોડાસરાની ફરિયાદ ના આધારે નાણાં ધીરધાર કરી વ્યાજ વસૂલનાર કરિયાણાના વેપારી નીકાવા ગામના અમિતભાઈ ભાયાણીની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.જેમાં પોલીસે આઈપીસી કલમ 384,504,506-2, તેમજ મની લોન્ડરિંગ કલમ 5,39,40 અને 42 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.