![]() |
![]() SANJ SAMACHAR | Date: 01-07-2024 Monday | Rajkot |
|
(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.1
લખતર તાલુકાના ભડવાણા ગામે રહેતા ખેડૂતનું તલવણીની સીમમાં ખેતર આવેલુ છે. ત્યારે ખેતરમાં ગાયો ચરાવવા મુકી ત્રણ શખ્સોએ બોલાચાલી કરી ગળે છરી મુકી ખેડૂતને લોખંડના પાઈપથી માર માર્યાની લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
તાલુકાના ભડવાણા ગામે રહેતા 28 વર્ષીય હાર્દીકભાઈ પ્રેમજીભાઈ પટેલ ખેડૂત છે. તેઓનું તલવણીની સીમમાં ખેતર આવેલુ છે. જેમાં હાલ બીટી કપાસનું વાવેતર કરાયુ છે. તા. 26મી જુનના રોજ સવારે તલવણીના બલભદ્રસીંહ ઉર્ફે ટીકુભા જેઠુભા હાર્દીકભાઈના ખેતરમાં ગાયો ચરાવતા હતા. આથી હાર્દીકભાઈએ જઈ બારેક જેટલી ગાયોને બહાર કાઢી હતી.
જયારે બપોર બાદ ફરી તેઓની ત્રણ ગાયો હાર્દીકભાઈના ખેતરમાં ચરતી હતી. આથી આ ગાયોને પણ બહાર કઢાઈ હતી. ત્યારે આ બાબતનું મનદુ:ખ રાખી બલભદ્રસીંહ ઉર્ફે ટીકુભાઈ જેઠુભા, રાજદીપસીંહ મયુરસીંહ અને લક્કીભાઈ બલભદ્રસીંહ ઉર્ફે ટીકુભાઈએ હાર્દીકભાઈના ખેતરે ધસી જઈ ગળાના ભાગે છરી રાખી, લોખંડના પાઈપ વડે મારા મારી માથામાં ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જેમાં હાર્દીકભાઈને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. બનાવની લખતર પોલીસ મથકે ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ જી.વી.મસીયાવા ચલાવી રહ્યા છે.