www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામજોધપુરમાં હોટલ સંચાલકનો પોતાના જ છરીથી ગળુ કાપી આપઘાત


લોહીથી લથબથ મૃતદેહ મળી આવ્યો: ડીપ્રેશનમાં આવી જતા અંતીમ પગલુ: પોલીસ તપાસ

સાંજ સમાચાર

(ભરત ગોહેલ દ્વારા)
જામજોધપુર તા.1
 જામજોધપુરની સોમનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા એક હોટલ સંચાલક ગઢવી યુવાનનો મૃતદેહ લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યો હતો. તેની બાજુમાંથી એક છરી પણ મળી આવી હતી. પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ દરમિયાન મૃતક યુવાને પોતે જ પોતાના ગળામાં છરીનો ઘા મારી આત્મહત્યા કરી લીધી હોવાનું અને પોતે ડિપ્રેશનમાં આવી ગયો હોવાથી આ પગલું ભર્યાનું જાહેર થયું છે.

 આ બનાવની વિગતો એવી છે કે જામજોધપુરની સોમનાથ સોસાયટીમાં રહેતો સામાભાઈ રણમલભાઈ ગઢવી નામનો 32 વર્ષના યુવાન કે જે અગાઉ હોટલ ચલાવતો હતો, પરંતુ છેલ્લા દોઢેક વર્ષથી પોતે ડિપ્રેશનમાં આવી ગયો હતો, અને માનસિક સમતુલા ગુમાવી બેઠો હતો.
 

દરમિયાન પોતાના ઘેરથી ગઈરાત્રે છરી સાથે નીકળી ગયા પછી તેનો લોહીથી લથબથ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે દ્વારા સૌપ્રથમ આ મામલે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે જામનગર ગ્રામ્ય વિસ્તારના ડીવાયએસપી અને એફએસએલ અધિકારીના કાફલાએ જામજોધપુર પહોંચી ઉંડાણપૂર્વકની તપાસ કરી હતી.

 દરમિયાન મૃતક યુવાને જાતે જ પોતાના હાથે શરીરના ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી દઈ આત્મહત્યા કરી લીધી હોવાનું જાહેર થયું હતું. પોલીસ દ્વારા મૃતકના માતા આલૂબેન ગઢવીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. જેમાં માતાએ જણાવ્યું હતું, કે પોતે ગઈ રાત્રે બહારગામથી છરી લઈને આવ્યો હતો, જે છરી લઈને પોતાના ઘેરથી નીકળ્યો હતો. તેના ભાઈએ પણ રસ્તામાં રોકયો હતો, પરંતુ રોકાયો ન હતો અને સવારે તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો. જામજોધપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

Print