![]() |
![]() SANJ SAMACHAR | Date: 29-06-2024 Saturday | Rajkot |
|
(ભોલુ રાઠોડ દ્વારા)
ઉપલેટા તા.29
હાલના ટીવી સિનેમાના હાઈટેક યુગમાં ભારતની જુની સંસ્કૃતિ ભવાઈ, નાટક, રામલીલા, બહુરૂપી જેવી લોક કલાઓ દિવસે દિવસે લુપ્ત થતી જાય છે નવી પેઢીના બાળકોને આ કલા અંગે દાદા દાદીની વાતોમાંથી જ જાણવા મળે છે પ્રત્યક્ષ જોવા મળતી નથી આજે ભાગ્યે જ જોવા મળતી બહુરૂપીની કલા કે જેમાં ઉપલેટાના હાડફોડી નાથબાવા કાનજી નાનજી ઉર્ફે કાલીયાનો દિકરો સંજય ઉર્ફે જુનીયર કાલીયા બહુરૂપીની કલા તેમના ગુરૂ કેશોદના બાબુ રાવ બાજીરાવ પાસેથી મેળવી છે.
જે છેલ્લા થોડા સમયથી ઉપલેટા, ધોરાજી, ભાયાવદર, પાટણવાવ, મોટીમારડ, વિગેરે ગામોમાં દરરોજ જુદા જુદા વેશ જેવા કે કયારેક હનુમાનજી, મદારી, ડાકુ, ગાંડો, દુધ વાળી, ભરવાડણ, પોલીસ ઈન્સ્પેક્ટર, પોસ્ટમેન, રેલ્વે માસ્તર, વેપારી, શેઠ, શિકારી સહીતના આવા જુદા જુદા વેશ ધારણ કરી શહેરમાં બજારોમાં કે રહેણાંક વિસ્તારોમાં નીકળે ત્યારે લોકોના ટોળે ટોળા એકઠા થઈ જાય છે.
બાળકોમાં કાલીયા મામાના નામે ખુબજ પ્રખ્યાત છે મોટા ઉદ્યોગપતિથી વેપારીઓ, નોકરીયાતો પોલીસ તથા અન્ય અધિકારીઓ જુનીયર કાલીયાની કલા ઉપર આફરીન છે બહુરૂપી સિવાયના સમયમાં અતર વહેંચીને પોતાનું ગુજરાન ચલાવે છે. આવી ભારતની જુની સંસ્કૃતિને લુપ્ત થતી અટકાવવા ગુજરાત સરકારે આવા કલાકારોને એવોર્ડ આપી સન્માન કરી પ્રોત્સાહીત કરવા જોઈએ અને તેમને કાયમ આર્થીક મદદ મળે તે માટે સરકારી સહાય તેમજ રહેવા માટે મકાન વિગેરે સવલતો આપવી જોઈએ ત્યારે જ આપણી આવી સંસ્કૃતિ જીવંત રહે તેવી ઠેર ઠેર લોક લાગણી પ્રસરે છે.