![]() |
![]() SANJ SAMACHAR | Date: 23-05-2024 Thursday | Rajkot |
|
રાજકોટ, તા.23
રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરી આગામી તા.4 જુનના રોજ કણકોટની સરકારી ઇજનેરી કોલેજ ખાતે થનાર હોય આ અંગેની તૈયારીઓ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રભવ જોષી દ્વારા શરુ કરી દેવામાં આવી છે.
આ મત ગણતરી માટે 800 જેટલા કર્મચારીઓ વિશેષ ફરજ પર લેવામાં આવનાર છે જેઓને આવતીકાલે બપોરના 3 કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે તાલીમ આપવામાં આવનાર છે. કર્મચારીઓને આ તાલીમ અધિક કલેક્ટર ચૂંટણી મુછાર દ્વારા આપવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે રાજકોટ બેઠકની ચૂંટણીની મત ગણતરી માટે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી પંચ સમક્ષ વધુ 3 ઓબ્ઝર્વર ફાળવવાની દરખાસ્ત કરવામાં આવી હતી પરંતુ ચૂંટણી પંચ દ્વારા અગાઉ રાજસ્થાનના ડો. પૃથ્વીરાજને રાજકોટ બેઠક માટેના ઓબ્ઝર્વર તરીકે મુકવામાં આવેલ હતાં. જેમાં હવે ચૂંટણી પંચ દ્વારા વધુ એક ઓબ્ઝર્વર મુકવામાં આવેલ છે.
હરિયાણાના નરહરિસિંગની ઓબ્ઝર્વર તરીકે નિયુક્તિ આપવામાં આવે છે. આ બંને ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં રાજકોટ બેઠકની ચૂંટણીની મત ગણતરી સરકારી ઇજનેરી કોલેજ કણકોટ ખાતે બે બિલ્ડીંગ પર કરવામાં આવશે. આ બંને બિલ્ડીંગ પર એક-એક ઓબ્ઝર્વર તૈનાત કરાશે.
♦મત ગણતરી બાદના 45 દિવસમાં બાદ ઉમેદવારોને હિસાબ રજુ કરી દેવા તાકિદ
રાજકોટ, તા.23
રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીના ઉમેદવારોએ મત ગણતરી બાદ 45 દિવસમાં ખર્ચના હિસાબો રજૂ કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોષી દ્વારા તાકિદ કરી દેવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો જેમાં મુખ્ય ચૂંટણી જંગ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ખેલાયો હતો. ચૂંટણી પંચ દ્વારા આ વખતે ઉમેદવાર દીઠ ખર્ચની મર્યાદા વધારી 95 લાખની કરવામાં આવી હતી. રાજકોટ બેઠકના ઉમેદવારોને આગામી તા.4ના થનારી મત ગણતરી બાદ 45 દિવસમાં હિસાબો રજૂ કરવા માટે તાકિદ કરવામાં આવી છે.