![]() |
![]() SANJ SAMACHAR | Date: 28-06-2024 Friday | Rajkot |
|
♦ આજના ખેલાડીઓ અમારા કરતા બહેતર છે, ફિટ છે, મહેનતુ છે, આ મોટી વાત છે: કપિલ દેવ
નવીદિલ્હી તા.28
ભારતના પ્રથમ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલદેવ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જયારે તે બોલીંગ કરતો હતો ત્યારે તુલના કરવામાં આવે તો જસપ્રીત બુમરાહ તેનાથી એક હજાર ગણો બહેતર બોલર છે.
બુમરાહ હાલના ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને તેણે અત્યાર સુધીમાં 23 ઓવરમાં 11 વિકેટ ખેડવી છે. કપિલ દેવે વધુમાં જણાવ્યું હતું કે આજના યુવા ક્રિકેટરો અમારાથી બહેતર છે.
મહેનતુ અને શાનદાર
બુમરાહને હાલનો આંતર રાષ્ટ્રીય કિકેટમાં સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર માનવામાં આવે છે. ભારત માટે 36 ટેસ્ટ રમી ચુકેલ આ બોલરે 159 વિકેટ પાડી છે. તે 89 વનડેમાં 149 વિકેટ અને 68 ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 85 વિકેટ લઈ ચૂકયો છે.
કપિલ દેવ પોતાની કેરિયરનું સમાપન 434 ટેસ્ટ વિકેટના વર્લ્ડ રેકોર્ડ સાથે કયુર્ં હતું. અને તેને અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ ઓલ રાઉન્ડરોમાં એક માનવામાં આવે છે. તેણે 253 વનડે વિકેટ લીધી છે.
ભારતને 1983માં પ્રથમ વર્લ્ડ કપ ખિતાબ અપાવનાર 65 વર્ષીય કપિલદેવે હાલની રાષ્ટ્રીય ટીમની ફિટનેસના સ્તરની પણ પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું હતું. તેઓ વધુ ફીટ છે, ખૂબ જ મહેનતુ છે, શાનદાર છે.
આ મોટી વાત છે
કપિલે જણાવ્યું હતું કે મને ગર્વ છે કે ભારતીય ટીમને દરેક વૈશ્ર્વિક ટુર્નામેન્ટમાં ખિતાબના દાવેદાર સમજવામાં આવે છે. આપણે ખુશ થવું જોઈએ કે આપણે એ વિચારી શકીએ છીએ કે આપણે જીતી શકીએ છીએ. જયારે 20 વર્ષ પહેલા આપ આવું નહોતા વિચારી શકયા.
બધાનો રોલ મહત્વનો: કપિલ દેવ
કોઈ એક ટેલેન્ટ નહીં, સામૂહિક પર્ફોર્મન્સથી ટુર્નામેન્ટ જીતાય છે
કપિલ દેવે જણાવ્યું હતું કે વ્યકિતગત પ્રતિભા નહીં બલકે સામૂહિક પ્રદર્શન એ નકકી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે કે શું રોહિત શર્માની ટીમ ટી-20 વર્લ્ડ કપ જીતીને પોતાના એક દાયકાથી વધુ સમયથી ગ્લોબલ ટ્રોફીના દુકાળને સમાપ્ત કરી શકશે કે નહીં. તેમણે જણાવ્યું હતું કે આપણે માત્ર રોહિત શર્મા, વિરાટ કોહલી, જશપ્રીત બુમરાહ, હાર્દિક પંડયા કે કુલદીપ યાદવના બારામાં જ શા માટે વાત કરીએ?
દરેકે ભૂમિકા નિભાવવાની છે. તેમનું કામ ટુર્નામેન્ટ જીતવાનું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક મેચ જીતવા માટે કોઈ એક ખેલાડીનું પ્રદર્શન મહત્વ રાખી શકે છે પણ એક ટુર્નામેન્ટ જીતવા માટે બધાએ એકતાથી કામ કરવું પડશે.