![]() |
![]() SANJ SAMACHAR | Date: 01-07-2024 Monday | Rajkot |
|
જામનગર તા.1
જામનગર મહાનગરપાલિકામાં નિવૃતી બાદ અઢી વર્ષથી સેક્રેટરી પદ પર કાર્યરત રહેલ અશોક પરમાર બાબતે વિગતો બહાર આવતા હવે મહાનગરપાલિકાના ડે. કમિશનરે મેયરને કાગળ લખી નિયમ અનુસાર રાજય સરકારના નિયમ મુજબ પગલા લેવા જણાવ્યું છે.
જામનગર મહાનગરપાલિકામાં વર્ષ 2021માં અશોક પરમાર નિવૃત થઈ ગયા હતાં, જે બાદ તેઓ સેક્રેટરી પદે વિવાદાસ્પદ રીતે ચાલુ રહ્યા હતાં, જેમાં સ્ટેન્ડિંગ તથા જનરલ બોર્ડના ઠરાવોને આગળ કરવામાં આવતા હતાં, જે સદ્દતર ગેરકાયદેસર હતું.
રાજય સરકાર દ્વારા તા. 7- 7-2016ના ઠરાવથી નિવૃતી બાદ નિમણુંક પામેલા તમામ કર્મચારીઓની સેવા સમાપ્ત કરવાનો આદેશ કર્યો હતો ત્યાર બાદ સરકારે બીજા એક પરિપત્ર દ્વારા કોઇપણ રીતે આવા કર્મચારીઓને નોકરીએ ન લેવા જણાવ્યું હતું તેમજ જો લેવા પડે તો રાજય સરકારની મંજૂરી લઈને લેવા તેવા સ્પષ્ટ પરિપત્ર હોવા છતાં મહાપાલિકાએ તેનો ઉલાળ્યો કરી અશોક પરમારને પદે ચાલુ રાખ્યો હતો.
દરમિયાન આ બાબતે હોબાળો થતાં મહાપાલિકાના ડીએમસી ડી.એ. ઝાલાએ મેયર વિનોદ ખીમસુર્યાને કાયદેસરનો પત્ર લખીને જણાવ્યું છે કે, સરકારના નિયમો શું છે અને અશોક પરમાર બાબતે તેમણે નિયમ અનુસાર કાર્યવાહી કરવી જોઈએ. ડીએમસીના આ પત્રથી હવે ચૂંટાયેલ પાંખ જેઓ અશોક પરમારને સંભાળીને બેઠી છે તેઓ ફિકસમાં આવ્યા છે.