![]() |
![]() SANJ SAMACHAR | Date: 17-06-2024 Monday | Rajkot |
|
(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 17
ધ્રાંગધ્રા તાલુકાના હામપુર ગામ પાસેની પસાર થતી નર્મદા કેનાલ ચોમાસા ટાણે તોડી રીપેરીંગ કામ શરૂ કરાતા વાવેતરમાં નુકશાન થવાની ભીતિ સેવાતા ખેડૂતોએ સમયસર કેનાલ રીપેરીંગ શરૂ ન કરાતા રોષ વ્યકત કર્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા કેનાલ અનેક ખેતરોમાં લીકેજ થવાની ફરિયાદો ઉઠી હતી એમ છતાય તંત્ર દ્વારા સમયસર રીપેરીંગ ન કરતા હોવાની ધ્રાંગધ્રાના ધારાસભ્યને અગાઉ રજૂઆત કરાઇ હતી.
એમ છતાય કેનાલને પાણી બંધ થયાને પંદર દિવસ કરતા પણ વધારે સમય વીતિ જવા છતાય રીપેરીંગ કામ શરૂ ન કરી વરસાદ આવવાની શરૂઆત થતા સમયે હામપુર પાસેથી પસાર થતી ડીસ્ટ્રી-4 નર્મદા કેનાલમાં હાલ રીપેરીંગ શરૂ કરી દીધુ છે.
હામપુર ગામના ખેડૂત મનીષભાઇ પટેલે જણાવેલ કે ધારાસભ્ય પ્રકાશભાઇને સમયસર કેનાલ રીપેર કરવાની અગાઉ રજૂઆત કરી હતી છતાય પાણી બંધ થયુ તુરંત રીપેર કરવાના બદલે વરસાદ આવવાના સમયે ખેડૂતોએ કપાસનું વાવેતર શરૂ કરી દીધુ ત્યારે અને અમુક જગ્યાએ કેનાલ સારી હોવા છતાય તોડી નાખી આવા સમયે રીપેરીંગ શરૂ કર્યુ છે.
પંદર દિવસ પહેલા પાણી બંધ થયુ છતાય રીપેરીંગ ચાલુ ન કરી હાલ ખેડૂતોને પણ મુસ્કેલી પડી રહી છે અને વરસાદ આવવાનો સમય હોવાથી કેનાલનું કામ પણ બગડી શકે છે. આ બાબતે રીપેરીંગમા કેમ મોડુ થયુ એ નર્મદા વિભાગ દ્વારા તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે. આ ઉપરાંત સ્થાનિક ખેડૂતોના વધુમાં જણાવ્યા મુજબ કેનાલમાં પાણી બંધ થયાને પંદર દિવસથી પણ વધારે સમય વીતિ જવા છતાય રીપેરીંગ શરૂ નહી કરી હાલ વરસાદ શરૂ થઇ રહયો છે, ખેડૂતોએ કપાસ સહિતના પાકનું વાવેતર પણ કરી દીધુ છે. એવા ટાણે કેનાલનું રીપેરીંગ શરૂ કરતા ખેડૂતોએ રોષ વ્યકત કર્યો છે.