![]() |
![]() SANJ SAMACHAR | Date: 01-07-2024 Monday | Rajkot |
|
ગોંડલ,તા.1
ગોંડલ જુની પેઢીનાં સ્પષ્ટ વકતા અને લડાયક મહીલા આગેવાન દુર્ગાબેન દુર્લભજીભાઈ જોશીનું નિધન થતા શોક ફેલાયો હતો.
92 વર્ષ ની જૈફ વયે તા.29 શનીવાર નાં અમદાવાદ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.ગોંડલ માં સતત ચાર ટર્મ સુધી નગરપાલિકાનાં સદસ્ય પદે રહેલા દુર્ગાબેન હાલ નાગરિક સહકારી બેંક નાં ડીરેકટર તરીકે સેવા આપી રહ્યા હતા.
તેમના પિતાશ્રી દુર્લભજીભાઈ જોશી મહારાજા સર ભગવતસિહ જી નાં ખુબ નજીક નાં વ્યક્તિ અને બાપુની દેખરેખ હેઠળ નાં રેલ્વે વિભાગ માં ઓડિટર હતા.દુર્ગાબેન નાં જન્મ સમયે તેમનું દુર્ગા નામ મહારાજા ભગવતસિહજી એ પાડ્યુ હતુ.પ્રાથમિક શિક્ષણ ગોંડલ ની મોંઘીબા ગર્લ્સ સ્કુલ માં મેળવી રાજકોટ ની ધર્મેન્દ્રસિંહ કોલેજ માં અંગ્રેજી વિષય સાથે ગ્રેજ્યુએટ થયા હતા.તે સમયે મહારાજા ભોજરાજસિહ દ્વારા તેમનું સન્માન કરાયુ હતુ.અંગ્રેજી ઉપરાંત જાપાનીસ ભાષા પર તેમનું ખાસ્સુ પ્રભુત્વ હતુ.
જાપાન સહિત વિદેશ માં અનેક પ્રવાસો કર્યા હતા. જાહેરજીવન ઉપરાંત રાજનીતિ માં કોઈ ની પણ શેહશરમ નહી રાખનારાં દુર્ગાબેન સ્પષ્ટ વકતા તરીકે જાણીતા હતા.નગરપાલિકાનાં સદસ્યા તરીકે શહેર નાં વિકાસ કાર્યોનાં તેઓ સહભાગી હતા.હાલ નાગરિક બેંક નાં ડીરેકટર તરીકે તેમની સરાહનીય ભુમિકા રહી હતી.શહેર ની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા દુર્ગાબેન ગરીબ,મધ્યમવર્ગીય અને વિધવા મહીલાઓ નાં ઉત્થાન માટે જીવન નાં અંતિમ શ્વાસ સુધી સતત કાર્યશીલ રહ્યા હતા.
જૈફવયે પણ તેમની સ્ફૂર્તિ અને તંદુરસ્તી યુવાનોને પણ શરમાવે તેવી હતી.દુર્ગાબેન જોશી ની વિદાય થી ગોંડલ નાં જાહેર જીવન ને મોટી ખોટ પડી હોવાનું જણાવી ધારાસભ્ય ગીતાબા જાડેજા,નાગરીક બેંક નાં ડીરેકટર અશોકભાઈ પીપળીયા,નગર પાલીકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા,બૃમ્હ સમાજ નાં પ્રમુખ જીતુભાઇ આચાર્ય સહિત આગેવાનોએ શ્રધ્ધાંજલી અર્પી હતી.