![]() |
![]() SANJ SAMACHAR | Date: 25-05-2024 Saturday | Rajkot |
|
◙ કાશ્મીરમાં મહેબુબા ધરણા પર બેઠા: દિલ્હીમાં ‘આપ’ના ગઢમાં મતદાન ધીમુ કરાવવા પોલીસને સૂચના અપાયાનો આરોપ: આક્ષેપોનો મારો
નવી દિલ્હી,તા.25
લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબકકામાં આઠ રાજયોની 58 બેઠકો પર સવારથી ઉત્સાહપુર્ણ મતદાન રહ્યું છે. પ્રથમ ચાર કલાકમાં જ સરેરાશ 25 ટકા મતદાન હોવાના સંકેત છે. ત્રણ કેન્દ્રીય પ્રધાનો, ત્રણ પુર્વ મુખ્યપ્રધાનો સહિતના 889 ઉમેદવારોનું રાજકીય ભાવિ આજે ઈવીએમમાં કેદ થઈ જશે.
દેશમાં સાત તબકકામાં નિર્ધારિત થયેલી લોકસભાની ચૂંટણીનો આજે છઠ્ઠો તબકકો રહ્યો છે. આઠ રાજયો, કેન્દ્ર શાસીત પ્રદેશોની 58 બેઠકો પર 889 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જેમાં ધર્મેન્દ્ર પ્રધાન, મેનકા ગાંધી, બાંસુરી સ્વરાજ, રાજબબ્બર, કનૈયાકુમાર જેવા નેતાઓનો સમાવેશ થાય છે.
આજના છઠ્ઠા તબકકામાં સામેલ 58 બેઠકોમાં બિહારની આઠ, હરિયાણાની 10, ઝારખંડની ચાર, દિલ્હીની સાત, ઓડિશાની છ, ઉતરપ્રદેશની 14, પશ્ર્ચિમ બંગાળની આઠ તથા જમ્મુ-કાશ્મીરની એક બેઠકનો સમાવેશ થાય છે.
પાટનગર દિલ્હીની તમામ સાત બેઠકો પર મતદાન હોવાથી પ્રચંડ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સવારથી મતદારોની લાઈનો લાગી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પુર્વ સાંસદ ગૌતમ ગંભીર, બાંસુરી સ્વરાજ, કેન્દ્રીયમંત્રી હરદીપસુરી સહિતના મહાનુભાવોએ મતદાન કર્યુ હતું.
ભગવાન જગન્નાથ પણ મોદીના ભકત હોવાનું વિધાન કરીને વિવાદ સર્જનાર ભાજપના ઓડિશાની પુરી બેઠકના ઉમેદવાર સંબીત પાત્રાએ મંદિરમાં પુજા કર્યા બાદ મતદાન કર્યુ હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજકીય નેતાઓએ વધુને વધુ મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ કહ્યું કે નાગરિકોનો એક-એક મત કિંમતી છે અને તમામ લોકો મતદાન કરે. લોકોના મતદાન થકી જ લોકશાહી વધુ વિકસે છે. ખાસ કરીને મહિલા-યુવા મતદાતાઓને મહતમ મતદાન કરવાનો તેઓએ આગ્રહ કર્યો હતો.
ભાજપ માટે આજના છઠ્ઠા તબકકાની ચૂંટણી અત્યંત મહત્વપૂર્ણ છે. કારણ કે 58માંથી 40 બેઠકો પર 2019માં એકલા હાથે જીત મેળવી હતી. આ સિવાય ચાર બેઠકો પર બહુજન સમાજ પાર્ટી, ત્રણ બેઠકો પર જેડીયુ, ચાર બેઠકો પર બીજુ જનતાદળ, ત્રણ બેઠકો પર તૃણમુલ કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. લોક જનશક્તિ પાર્ટી, ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન પાર્ટી, સમાજવાદી પાર્ટી તથા કાશ્મીર નેશનલ કોન્ફરન્સ પાર્ટીએ એક-એક બેઠક પર જીત મેળવી હતી. આજની 58માંથી એક પણ બેઠક પર કોંગ્રેસની જીત થઈ ન હતી.
છઠ્ઠા તબકકાના મતદાનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોખંડી બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ એવો આરોપ મુકયો હતો કે ‘આપ’નુ પ્રભુત્વ હોય તેવા વિસ્તારોમાં મતદાન ધીમુ રાખવા પોલીસને સુચના આપવામાં આવી છે. કાશ્મીરમાં પણ ગરબડના આરોપ સાથે મહેબુબા મુફતી ધરણા પર બેસી ગયા હતા.