![]() |
![]() SANJ SAMACHAR | Date: 01-07-2024 Monday | Rajkot |
|
પંચમહાલ, તા. 1
પંચમહાલ જિલ્લામાં થોડા દિવસોથી વરસાદી માહોલ વચ્ચે ગઇકાલે પાવાગઢમાં ભૂસ્ખલન થયું હતું. પરંતુ ત્યારે કોઇ ભકતો હાજર નહીં હોવાથી દુર્ઘટના સર્જાઇ ન હતી.
ગઇકાલે હાલોલ તાલુકામાં આવેલા શક્તિપીઠ પાવાગઢ ખાતે ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી. જેમાં ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે ડુંગર પરથી મોટા પથ્થરો ધસી આવ્યા હતા. ડુંગર ઉપરથી પડેલા પથ્થરો ઉપર ચડવા માટેના પગથિયા નજીક પડ્યા હતા. જેના પગલે આસપાસની દુકાનો અને રેલિંગને નુકસાન થયું હતું.
ગઇકાલે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે. જો કે જ્યારે ભૂસ્ખલન થયું, ત્યારે નીચે કોઈ વ્યક્તિ હાજર ના હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ગઇકાલે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં સૌથી વધુ 28 મિમી વરસાદ ખાબક્યો છે. આ સિવાય અન્ય તાલુકામાં હાલોલમાં 20 મિમી, કાલોલમાં 7 મિમી, મોરવા હડફ અને ઘોઘંબામાં 6-6 મિમી વરસાદ નોંધાયો છે.