![]() |
![]() SANJ SAMACHAR | Date: 26-06-2024 Wednesday | Rajkot |
|
જામનગર.તા.26
જામનગર જિલ્લા આરોગ્ય વિભાગના કાલાવડ સીએચસી ખાતે 24 વર્ષથી ચીટકી ગયેલા અને બદલી થયા છતાં બદલીના સ્થળે હાજર થવાને બદલે રજા ઉપર ઉતરી ગયેલા મુખ્ય ડોક્ટરનો એક જ જગ્યાએ નોકરી કરવાનો ઈરાદો કેમ છે? અને તેના કારણો શું છે? તેની તપાસ કરવામાં આવે તો ઘણા ખુલાસા થઈ શકે તેમ હોવાની કાલાવડના પુર્વ ધારાસભ્યએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી છે.
કાલાવડના પુર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ મુસડીયાએ ડીડીઓ વિકલ્પ ભારદ્વાજને કરેલી રજુઆતમાં આક્ષેપો કરતા જણાવ્યું છે કે, કાલાવડ આરોગ્ય કેન્દ્રના ડો.નવિન દુબે 24 વર્ષથી કાલાવડ ખાતે નોકરી કરે છે. નિયમ મુજબ આ ડોક્ટરની બદલી થવી જોઈએ. જે થતી નથી. લાલપુર આરોગ્ય કેન્દ્રમાં તેની બદલી થઈ હતી. પણ તે હાજર થયા ન હતા.
જેને લીધે લાલપુર સામુહિક આરોગ્ય કેન્દ્રના દર્દીઓને ડોક્ટરની સેવા મળી નથી. ડો. દુબેએ 14 દિવસની રજા માંગેલી અને રજા મંજુર નહીં થઈ હોવા છતાં પણ ચુંટણી સમયે આચાર સંહિતાનો ભંગ કરી બદલીના સ્થળે હાજર નહીં થઈને સરકારી તંત્રના નિયમનો ભંગ કરીને સરકારી તંત્રને ગેરમાર્ગે દોર્યાનો પણ પુર્વ ધારાસભ્યએ આક્ષેપ કરીને આ બાબતની તપાસ કરીને ડોક્ટર સામે સસ્પેન્ડ કરવા સુધીના પગલા લેવા માંગણી કરી છે. જો કોઈ કાર્યવાહી નહીં થાય તો ઉપવાસ ઉપર બેસવાની પુર્વ ધારાસભ્યએ ચિમકી આપી છે.