![]() |
![]() SANJ SAMACHAR | Date: 01-07-2024 Monday | Rajkot |
|
(જિગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 1
હળવદમાં નોનવેજના હાટડા શરૂ થયા છે તેને છેલ્લા ઘણા સમયથી બંધ કરાવવાની માંગ ઉઠી રહી છે. તેવામાં આજે હળવદમાં વિશાળ મૌન રેલી યોજીને મામલતદાર અને પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને નોનવેજના હાટડા બંધ કરાવવાની માંગ કરી છે.
હળવદ લક્ષ્મીનારાયણ ચોકથી મામલતદાર ઓફિસ સુધી વિશાળ બાઈક રેલી નોનવેજના હાટડા બંધ કરોની માંગ સાથે યોજાઈ હતી. આ મૌન રેલીમાં મોટી સંખ્યામાં લોકો બાઈક સાથે જોડાયા હતા. અને મામલતદાર કચેરી પહોંચીને હળવદમાં ચાલતા નોનવેજના હાટડા સદંતર બંધ કરાવવાની ઉગ્ર માંગ કરાઈ હતી. આ મૌન રેલીમાં લોકો ‘હળવદમાં ચાલતા નોનવેજના હાટડા બંધ કરો’ અને ‘છોટા કાશી હળવદની પરંપરાને જાળવી રાખો’ના બેનર સાથે જોડાયા હતા.
આજે લોકએ હળવદ પોલીસ સ્ટેશનમાં પણ આવેદનપત્ર આપ્યુ હતું. આ આવેદનમાં જણાવાયું છે કે, હળવદ શહેરમાં અત્યાર સુધી જાહેર સ્થળે માંસ-મટનની લારી અથવા જાહેર સ્થળે માંસાહારનું વેચાણ થતું નથી. ત્યારે છેલ્લા થોડાક વર્ષોથી હળવદના અનેક વિસ્તારોમાં કોઇ પણ મંજૂરી વિના સરકારી જગ્યામાં ગેરકાયદેસર રીતે દબાણ કરી માંસાહારનું વેચાણ થઈ રહ્યું છે.
જો ગેરકાયદેસર ધમધમતા માંસાહારના હાટડા આગામી 48 કલાકમાં બંધ કરાવવા આવા તત્વો સામે કોઇ કાર્યવાહી કરવામાં નહી આવે તો 48 કલાક પછી હળવદના જીવદયા પ્રેમીઓ અને સામાજિક સંગઠનો દ્વારા જનતા રેડ કરી ગેરકાયદેસર ધમધમતા નોનવેજના હાટડાઓ બંધ કરાવવામાં આવશે. તેવી ચિમકી ઉચ્ચારી છે આજે યોજાયેલ રેલીમાં હિન્દુ સંગઠનોના આગેવાનો, હોદ્દેદારો તેમજ સ્વામી નારાયણ મંદિરના સ્વામી સહિતના લોકો મોચી સંખ્યામાં હાજર રહ્યા હતા