ગાંધીનગર,તા. 15
ગુજરાતમાં બિનઅધિકૃત ગેરકાયદે બાંધકામ ફી ભરીને કાયદેસર કરવા માટેની ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં સતત ચોથી વાર વધારો કરવામાં આવ્યો છે. વિગતો મુજબ ઇમ્પેક્ટ ફી બાબતે અરજી કરવામાં મુશ્કેલી હોવાની નાગરિકોની ફરિયાદ હતી. જેને લઈ હવે રાજ્ય સરકાર દ્વારા સતત ચોથી વાત ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં વધારો કરી હજી 6 મહિનાનો વધારો કરાયો છે.
મહત્વનું છે કે, રાજ્યમાં ઈમ્પેક્ટ ફી ભરી ગેરકાયદે બાંધકામ કાયદેસર કરી શકવાની જોગવાઈ છે. જોકે અગાઉ બે વાર ઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત આપ્યા બાદ પણ નાગરિકોની ફરિયાદને આધારે હજી 6 મહિના સુધી મુદ્દત આપવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્ય સરકારની ધારણા કરતાં ઓછો પ્રતિસાદ મળતા શહેરી વિકાસ વિભાગ દ્વારા 17 જૂન, 2024ના રોજ ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત પૂર્ણ થાય તે પહેલા જ 6 મહિનાનો વધારો કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ગેરકાયદે અને પરવાનગી વગરના બાંધકામોનો રાફડો ફાટ્યા બાદ સરકારે ઓક્ટોબર-22માં કાયદામાં સુધારો કરી ઇમ્પેક્ટ ફી સ્વરૂપે દંડનીય રકમની વસુલાત કરી ગેરકાયદે બાંધકામોને કાયદેસરતા આપવા કવાયત કરી હતી. જોકે હવે મુદત પૂર્ણ થઈ ગયા બાદ 17 જૂન 2024થી 6 મહિનાનું એક્સ્ટેન્શન જાહેર કર્યું છે. જેને લઈ હવે ગેરકાયદેસર બાંધકામ કરનાર વધુ મિલ્કતધારકોને લાભ મળી રહેશે.
રાજય સરકાર દ્વારા સુચિત સોસાયટીઓ સહિતના આસામીઓ તેમના બાંધકામ નિયમને આધીન રેગ્યુલર કરાવે તે માટે આ યોજના જાહેર કરવામાં આવી છે. વિધાનસભામાં આ માટેનું બીલ પાસ કરવામાં આવ્યું હતું. જોકે આ યોજનાને સરકારની ધારણા મુજબનો પ્રતિસાદ મળતો નથી. છતાં આવી મિલ્કતોની સંખ્યા રાજયના ચાર મુખ્ય મહાનગરોથી માંડી નાના શહેરોમાં પણ રહેલી છે.
મુખ્ય શહેરોમાં સેંકડોની સંખ્યામાં સુચિત સોસાયટીઓ છે. દાયકાઓ જુના બાંધકામ છે. આથી આ યોજનાનો લાભ લેવા સરકાર પ્રોત્સાહન આપે છે છતાં હાલની મુદ્દતમાં પાર્કિંગ સહિતના નિયમો કડક બન્યા હોય તેમાં રાહત આપવા સતત રજુઆતો થતી હતી. પરંતુ આવી કોઇ નવી છુટછાટ અપાઇ નથી અને મુળ સ્વરૂપમાં જ મુદ્દત લંબાવવામાં આવેલ છે.
અગ્નિકાંડના કારણે ઇમ્પેકટ ફી યોજનાની મુદ્દત નહીં વધે એવી પણ ધારણા હતી
નાના લોકોને રહેણાંક રેગ્યુલરાઇઝ કરવા સરકારે વધુ એક વખત ઉદારતા દાખવી
ગાંધીનગર, તા. 15
ઇમ્પેકટ ફી યોજનાની મુદ્દત સરકારે ફરી લંબાવી છે, રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડની તપાસમાં આ જગ્યા રેગ્યુલર કરવા પણ ઇમ્પેકટ યોજનામાં ફાઇલ દાખલ કરવા પ્રયાસ થયાનું બહાર આવ્યું હતું અને પૂરા રાજયમાં આ કામગીરી પર વધુ મોનીટરીંગ ગોઠવવામાં આવતા આ વખતે યોજનાની મુદ્દત નહીં લંબાય તેવું લાગતું હતું. પરંતુ નાના અને ગરીબ વર્ગના લોકોના નાના રહેણાંકને, સુચિત સોસાયટીઓને લાભ મળે તે માટે સરકારે મુદ્દત લંબાવ્યાનું સમજવામાં આવે છે.
આગામી દિવસોમાં પંચાયતોની પેટા ચૂંટણી આવવાની છે. તે કારણે પણ હાલ યોજનાની મુદ્દત લંબાવાઇ હોય તેવું માનવામાં આવે છે. કારણ કે સરકાર માત્ર મહાનગર નહીં પરંતુ જિલ્લા અને ગ્રામ્ય વિસ્તાર સુધીના લોકોનો વિચાર કરીને નિર્ણય લેતી હોય છે. રાજકોટની વાત કરીએ તો મહાનગરમાં આ વખતની યોજનામાં અત્યાર સુધીમાં સાડા નવ હજાર જેટલી અરજીઓ દાખલ થઇ હતી.
જેમાંથી 3400 જેટલી અરજી મંજૂર કરવામાં આવી છે. 103પ અરજી નામંજૂર કરવામાં આવી હતી અને સાડા છ હજાર જેટલી અરજી ચકાસણીના તબકકે છે તે ઉલ્લેખનીય છે. હવે તમામ આવા આસામીઓને વધુ એક મુદ્દત મળી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy