નેવકુવર (કેનેડા), તા.15
કેનેડા કે અમેરિકામાં વસતા ભારતીયો સાથે તાજેતરમાં ગંભીર ઘટનાઓ વધી ગઈ છે. તાજેતરમાં જ કેનેડામાં 24 વર્ષીય એક ભારતીય યુવાનને ગોળી મારીને તેની હત્યા કરવામાં આવી છે. ચિરાગ અંતિલ નામના યુવાનને કારમાં જ ગોળી મારી દેવામાં આવી હતી. કેનેડાના વેનકુવર ખાતે આ ઘટના બની છે. ચિરાગના મૃતદેહને ભારત પરત લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મૃતદેહને પરત લાવવાનો ખર્ચ લાખો રૂપિયામાં પહોંચશે તેથી ફંડ એકઠું કરવામાં આવી રહ્યું છે અને સરકારની પણ મદદ માગવામાં આવી છે.
ચિરાગ અંતિલ કેનેડામાં હાયર એજ્યુકેશન માટે ગયો હતો. 12 એપ્રિલે વેનકુવરની પોલીસને ઘટનાની જાણકારી મળી કે ઈસ્ટ 55 એવન્યુ અને મેઈન સ્ટ્રીટની આસપાસ રાતે 11 વાગ્યે ગોળીબાર થયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેને ચિરાગ અંતિલનું બોડી મળી આવ્યું હતું. ચિરાગ આ એરિયામાં ઉભેલી એક કારમાં હતો ત્યારે તેને ગોળી વાગી હતી. આ ઘટનામાં બે દિવસ થયા હોવા છતાં હજુ કોઈની ધરપકડ કરવામાં આવી નથી. કેનેડા પોલીસ હજુ આ ઘટનાની તપાસ કરી રહી છે.
આ ઘટના બાદ ભારતના નેશનલ સ્ટુડન્ટ યુનિયનના વડા વરુણ ચૌધરીએ આ મુદ્દો સોશિયલ મીડિયા પર ઉઠાવ્યો હતો અને ચિરાગ અંતિલના પરિવારને મદદ કરવા માટે વિદેશ મંત્રાલયને વિનંતી કરી છે. ચૌધરીએ કહ્યું કે ચિરાગ અંતિલની હત્યાના મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. ચિરાગ એક ભારતીય સ્ટુડન્ટ હતો જે કેનેડાના વેનકુવર ખાતે ભણવા ગયો હતો. અમે વિદેશ મંત્રાલયને વિનંતી કરીએ છીએ કે તે આ કેસની તપાસ પર ધ્યાન રાખે અને ચિરાગના પરિવારને તમામ પ્રકારની મદદ પૂરી પાડે. આ મુશ્કેલ સમયમાં ચિરાગના પરિવારને લોકોના ટેકાની જરૂર છે.
ચિરાગ અંતિલના પરિવારે ૠજ્ઞઋીક્ષમખય પર ક્રાઉડફંડિગનું અભિયાન શરૂ કર્યું છે અને ચિરાગના બોડીને ભારત પરત લાવવા માટે ભંડોળ એકઠું કરી રહ્યા છે.
ચિરાગના ભાઈ રોમિતે જણાવ્યું કે મારા ભાઈ સાથે મારા બહુ સારા સંબંધ હતા. અમે દરરોજ દિવસે અને રાતે ફોન પર વાત કરતા હતા. આ ઘટના બની તેનાથી થોડા સમય અગાઉ જ અમારી વાતચીત થઈ હતી. તે બહુ ખુશ હતો અને તેને કોઈની સામે વાંધો કે ઝઘડો ન હતો. તે બહુ વિવેકી અને મૃદુ સ્વભાવનો યુવાન હતો.
ચિરાગ અંતિલ સૌથી પહેલા વેસ્ટ કેનેડા યુનિવર્સિટીમાં એમબીએ કરવા ગયો હતો અને ત્યાં એમબીએની ડિગ્રી મેળવી લીધી હતી. ત્યાર પછી તે વેનકુવર આવ્યો અને ત્યાં તેને વર્ક પરમિટ મળી ગઈ હતી. આ દરમિયાન તેની હત્યા કરવામાં આવી છે અને હત્યા પણ શંકાસ્પદ સંજોગોમાં થઈ છે. તેથી તેની પાછળ કોઈ જૂથનો હાથ છે કે પછી સામાન્ય ડખામાં મર્ડર થયું છે તે વાતની તપાસ કરવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy