♦ ભારતમાં 10 લાખનું ઇનામ ધરાવતા આતંકીને ગત જુનમાં ગોળીએ ઠાર મરાયો હતો : બંને દેશો વચ્ચે ડિપ્લોમેટીક વિવાદ અને તનાવ પણ સર્જનાર ઘટનામાં અમેરિકાએ પણ કેનેડાને સાથ આપ્યો હતો
ટોરન્ટો, તા. 4
કેનેડામાં ખાલિસ્તાન સમર્થક આતંકી હરદિપસિંહ નિજજરની ગત વર્ષે થયેલી હત્યા અંગે ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી સર્જાયેલા ડિપ્લોમેટી તનાવમાં હવે નવો વળાંક આવ્યો છે અને કેનેડીયન પોલીસે આ હત્યા સંદર્ભમાં ત્રણ ભારતીયોની ધરપકડ કરી છે અને આ હત્યા સાથે કુખ્યાત લોરેન્સ બિશ્નોઇ ગેંગનું કનેકશન હોવાનો ધડાકો કર્યો છે.
જે વ્યકિતઓની ધરપકડ થઇ છે તેમાં કરનપ્રિત સિંહ, કમલપ્રિત સિંહ અને કરન બ્રાડ તરીકે કરવામાં આવી છે. આ તમામ પંજાબ અને હરિયાણાના નાગરિકો છે તેવો દાવો કેનેડાના પોલીસે કર્યો છે. અગાઉ કેનેડાએ નિજજરની હત્યા માટે ભારત સરકારના એજન્ટોને જવાબદાર ગણાવ્યા હતા અને આ મુદે ભારત પર મોટો આરોપ મુકયો હતો.
જોકે નવી દિલ્હીએ આ અંગેના પુરાવા આપવા જણાવ્યું હતું. પરંતુ લાંબા સમય સુધી પુરાવા કે ધરપકડથી દુર રહ્યા બાદ કેનેડીયન પોલીસે હવે બિશ્નોઇ ગેંગ સામે કનેકશન ધરાવતા ત્રણ ભારતીયોને ઝડપીને સમગ્ર મામલાને એક નવો વળાંક આપ્યો છે. ઓટાવામાં કેનેડીયન પોલીસે કહેવાતા હત્યારાઓની તસ્વીર પણ રીલીઝ કરી છે.
જણાવ્યું છે કે, તેઓએ હત્યા માટે જે કારનો ઉપયોગ કર્યો તે પણ ઝડપી લેવામાં આવી છે. ભારતે 2020માં નિજજરને આતંકી જાહેર કર્યા બાદ તે કેનેડામાં વસ્યો હતો અને જુન 2023માં કેનેડાના સરે પાસે એક ગુરૂદ્વારા નજીક હુમલાખોરોએ નિજજરને ગોળીઓ દાગીને ઠાર માર્યો હતો. કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ બાદમાં દેશની સંસદમાં નિવેદન આપતા કહ્યું કે આ હત્યામાં ભારત સરકારની એજન્સીઓ જવાબદાર છે.
ભારત સરકારની સૂચના મુજબ આ હત્યા કરવામાં આવી છે. જેને બાદમાં અમેરિકાએ પણ સમર્થન આપતા અને અમેરિકામાં વસતા શીખ આતંકી પન્નુની હત્યાના ષડયંત્રના પણ ભારતીયોની ભૂમિકા હોવાનો દાવો કર્યો હતો અને એ પણ જણાવ્યું હતું કે ભારતની વિદેશી જાસુસી એજન્સી ‘રો’ આ સમગ્ર હત્યા પાછળ છે.
બીજી તરફ કેનેડાના પોલીસે જે ત્રણ આરોપીની ધરપકડ કરી છે તે 2021માં કામચલાઉ અને સ્ટુડન્ટ વિઝા પર કેેનેડા પહોંચ્યા હતા બાદમાં તેઓએ અહીંની કોઇપણ શૈક્ષણિક સંસ્થામાં એડમીશન લીધુ ન હતું આ તમામનું કનેકશન કેનેડા અને ભારતમાં કાર્યરત લોરેન્સ બિશ્નોઇ ગેંગમાં જોડવામાં આવ્યું હતું અને ત્રણેયના અલબર્ટાના એડમોટનમાંથી કરવામાં આવી છે.
કેનેડાના અખબારે પોલીસને ટાંકીને આ તમામ આરોપી બિશ્નોઇ ગેંગ સાથે સંપર્કમાં હતા જોકે કેનેડીયન પોલીસે આ હત્યાનો હેતુ શું છે તે ફોડ પાડયો નથી અને ભારતના કનેકશન અંગે કોઇ સંકેત આપ્યો નથી અને ત્રણે લોકો કેનેડાની કાયમી પરમીટ પર રહેતા હતા. ભારતે નિજજર પર રૂા. 10 લાખનું ઇનામ જાહેર કર્યુ હતું. 2007માં પંજાબમાં એક સિનેમા ઘરમાં થયેલા વિસ્ફોટમાં તેની ભૂમિકા ખુલી હતી.
હત્યામાં વધુ લોકોની હત્યામાં સંડોવણી દર્શાવતી કેનેડીયન પોલીસ
કેનડામાં ખાલીસ્તાની આતંકી નિજજરની હત્યામાં કેનેડાના પેસેફીક રિજનમાં ફેડરલ પોલીસીંગ પ્રોગ્રામના કમાન્ડર ડેવિડ ટેબોલ એ કહ્યું કે હત્યાના હેતુ અને અન્ય લોકોની સંડોવણી અંગે તપાસ ચાલે છે. તેમણે દાવો કર્યો કે ભારતમાંથી આ તમામ સાથે સંપર્કની કોશિશ થઈ હતી પરંતુ બંને દેશો વચ્ચે જે સંબંધો ખરાબ છે તેના કારણે તે શકય બન્યુ નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy