નવી દિલ્હી, તા. 17
લોકસભા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોએ મોટા ભાગની બેઠકો માટે ઉમેદવાર જાહેર કરી દીધા છે અને ઇન્ડીયા ગઠબંધન હેઠળ કોંગ્રેસે અનેક રાજયોમાં સ્થાનિક પક્ષો સાથે સહયોગ કર્યો છે ત્યારે પ્રથમ વખત એવું બનશે કે કોંગ્રેસ અત્યાર સુધીમાં સૌથી ઓછી લોકસભા બેઠકો લડશે.
દેશની સૌથી જુની રાજકીય પાર્ટી હોવા છતાં પણ કોંગ્રેસ છેલ્લા એક દસકામાં ઘસાઇ છે અને પ્રાદેશિક પક્ષોનો ઉદય થયો છે તે બાદ કોંગ્રેસ માટે અનેક રાજયોમાં તેનું અસ્તિત્વ પણ જોખમમાં છે. સોમવારે કોંગ્રેસે જે ઉમેદવારો જાહેર કર્યા તે 2004 સાથેની પરિસ્થિતિ સરખાવી હતી.
આ ચૂંટણીમાં કોંગ્રેસ 330 લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે તેવા સંકેત છે. 2004માં કોંગ્રેસે 417 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા જે તેના ઇતિહાસની સૌથી ઓછી બેઠકો હતી. કોંગ્રેસના પ્રવકતા જયરામ રમેશે કહ્યું કે, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોને સામેલ કરવા માટે અમોએ વધુ બેઠકો તેમને આપી છે.
તેઓએ દાવો કર્યો કે, 2004માં આ જ સ્થિતિ હતી. જયારે અમે આ ત્રણ રાજયોમાં સૌથી ઓછી બેઠકો લડી હતી. કારણ કે અમે એક મજબુત અને પ્રભાવી ગઠબંધન ઇચ્છતા હતા અને કોગ્રેસ તથા એનડીએ ગઠબંધન જે રીતે આ ચૂંટણીમાં સાથે છે તે જોતા અમને સ્પષ્ટ બહુમતી મળશે તે પણ નિશ્ર્ચિત છે અને ચૂંટણી પછી ઇન્ડિયા ગઠબંધનની સરકારને કોઇ નવા પક્ષની જરૂર રહેશે નહી જયારે એનડીએને વિપક્ષમાં બેસવું પડશે.
કોંગ્રેસના આ દાવા છતાં પક્ષ દ્વારા ચૂંટણી લડવા માટે ઓછી બેઠકોએ તે તેની રાજકીય નબળાઇ દર્શાવે છે. દસ વર્ષમાં આ પક્ષ ઉતરપ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્રમાં તેની જીતની સંભાવના સૌથી ઓછી છે. જયારે આ રાજયોમાં લોકસભાની કુલ 40 ટકા જેટલી બેઠકો છે. દેશમાં જે રીતે રાજકીય સમીકરણો બન્યા છે તેનાથી કોંગ્રેસને અનેક બેઠકો સાથી પક્ષોને આપવાની મજબુરી બની છે.
મહારાષ્ટ્રમાં તે મહત્વપૂર્ણ બેઠકો પર ચૂંટણી લડશે નહીં બિહારમાં આ જ સ્થિતિ છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ કોંગ્રેસને બે બેઠકોની ઓફર કરી હતી જે પણ ન આપી. ગુજરાતમાં કોંગ્રેસને બે બેઠકો આમ આદમી પાર્ટીને આપી છે. આંધ્રપ્રદેશમાં કોંગ્રેસને કેટલી તક છે તે પ્રશ્ર્ન છે. છતાં ર3 બેઠકો લડી રહી છે. ધારાસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છતીસગઢમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડયો.
આવી જ રીતે ઉતરપ્રદેશ કે તેના માટે સૌથી મહત્વનું રાજય છે અને કોંગ્રેસ એક સમયે ગઢ ગણાતું હતું ત્યાં ગત ચૂંટણીમાં એક જ બેઠક મળી હતી તે સોનિયા ગાંધી વિજેતા બન્યા હતા. હવે સોનિયા પણ આ રાજયમાં ચૂંટણી લડી રહ્યા નથી અને રાજસ્થાનમાંથી રાજયસભામાં ચૂંટાયા છે.
રાહુલ ગાંધી ખુદ અમેઠીમાંથી લડશે તે પણ પ્રશ્ન છે. પ્રિયંકા ગાંધી પણ ઉતરપ્રદેશમાંથી જોખમ લેશે નહીં તે નિશ્ચિત જણાય છે અને આમ મોટા મોટા રાજયો કોંગ્રેસ ગુમાવી રહી છે અને તેથી ડબલ ડિજીટમાં રહે તેવી પણ શકયતા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy