જીલ્લા પંચાયત ચોક પાસે કોંગ્રેસની રેલી પહોંચતા જ કાર્યકરો ઉગ્ર બન્યા હતા. એક સમયે તો એનએસયુઆઈના કાર્યકરો અને કોંગ્રેસી કાર્યકરોએ ત્યાંથી પસાર થતી એસટી બસને બાનમાં લીધી હતી.
કાર્યકરો એસટી બસની ઉપર ચડી સરકારનો ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો તેમજ કેટલાક કાર્યકરો ત્યાંથી પસાર થતા અન્ય વાહનોને પણ અટકાવી તેના પર ચડી વિરોધ કર્યો હતો.
♦ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવેલી માંગણી
► અગ્નિકાંડ માટે જવાબદાર સતાધારી પક્ષના રાજકીય નેતાઓની સામે પણ ગુન્હા દાખલ કરી તાત્કાલીક ધરપકડ કરવામાં આવે.
► સતાધારી પક્ષના જે જે નેતાઓએ પૈસા ઉઘરાવી ટીઆરપી ગેમીંગ ઝોનને વિના પરમીશન ચાલવા દીધુ તે તમામ નેતાઓની યાદી રાજયની જનતા સમક્ષ જાહેર કરો તેમજ તેમની અપ્રમાણસરની મિલ્કતો બદલ એસીબીના પ્રમાણીક અધિકારી પાસે તપાસ કરાવો.
► કોની સૂચનાથી અને કયાં કારણોથી ટીઆરપી ગેમીંગ ઝોનમાં આગ લાગ્યાના ગણતરીના કલાકોમાં જેસીબી ફેરવી ક્રાઈમ સીનને વેરવિખેર કરવામાં આવ્યો તેની તપાસ કરાવી આ કૃત્ય બદલ પુરાવાનો નાશ કરવાની કલમો ઉમેરી આરોપીની તત્કાળ ધરપકડ કરો.
► ટીઆરપી ગેમીંગ ઝોનનો કાંડ પોલીસ કમિશ્ર્નરેટ વિસ્તારમાં થયો હોય તેની પીડિત પરિવારો અને વિરોધ પક્ષના નેતાના સૂચન મુજબ નોન કરપ્ટ અધિકારી આઈપીએસ સુધા પાંડે, સુજાતા મજમુદાર, નિર્લિપ રાયને સોંપવામાં આવે.
► આ બનાવમાં ભોગ બનનાર પીડિતોને 1 કરોડનું વળતર આપવામાં આવે અને કેસની ટ્રાયલ એક વર્ષમાં પુરી થાય તે સુનિશ્ર્ચિત કરવા માટે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે.
► શરૂઆતમાં સીપી કચેરીનો ગેટ બંધ કરાતા હોબાળો મચ્યો
કોંગ્રેસના આગેવાનો કાર્યકરો સાથે પોલીસ કમિશ્ર્નરને અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે રજુઆત કરવા માટે જતા હતા ત્યારે ચાર થી પાંચ આગેવાનોને જ બંદોબસ્તમાં રહેલ પોલીસે અંદર પ્રવેશ કરવા દઈ બાદમાં સીપી કચેરીનો ગેટ બંધ કરી દેતા અન્ય કોંગ્રેસી કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો અને એક સમયે સીપી કચેરીની દિવાલ ઠેકીને પણ કાર્યકરોએ અંદર પ્રવેશ કરતા વાતાવરણ ઉગ્ર બન્યુ હતું. બાદમાં કોંગ્રેસી આગેવાનોએ પોલીસને રજુઆત કરતા ગેટ ખોલવામાં આવ્યો હતો અને તમામ કાર્યકરોને અંદર પ્રવેશવા દેતા વાતાવરણ શાંત બન્યુ હતું.
► એસપી કચેરીના ગેટ પાસે પણ ચુસ્ત બંદોબસ્ત
બહુમાળી ભવનથી પ્રદેશ કોંગ્રેસની નીકળેલી રેલીએ જીલ્લાપંચાયત ચોક પાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પોલીસ કમિશ્ર્નર કચેરી સાથે બાજુમાં જ આવેલ એસપી કચેરીનો સ્ટાફ પણ હરકતમાં આવી ગયો હતો. એક સમયે કાર્યકરો એસપી કચેરીની અંદર ઘુસવા જતા બંદોબસ્તમાં રહેલ સ્ટાફે તેમને અટકાવ્યા હતા અને બાદમાં ગેટ પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
► કોંગ્રેસી કાર્યકરોએ રામધૂન બોલાવી પોલીસ કમિશ્નર કચેરી ગજવી
અગ્નીકાંડમાં ભોગ બનેલા લોકોના પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે સીપી કચેરીએ એકઠા થયેલા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ સરકારની કામગીરી સામે રામધુન બોલાવી પોલીસ કમિશ્નર કચેરીને ગજવી હતી. સતત એક કલાક સુધી કોંગ્રેસી કાર્યકરોએ રામધૂન બોલાવતા પોલીસ પણ એકટીવ મોડમાં આવી ગઈ હતી.
► જીલ્લા પંચાયત ચોક પાસે લાંબો ટ્રાફિક જામ સર્જાયો
અગ્નીકાંડમાં ભોગ બનેલા લોકોના પરિવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી જીલ્લા પંચાયત ચોક પાસે પહોંચતા કાર્યકરોએ ઉગ્ર બની રસ્તાઓ વચ્ચે બેસી જતા એક સમયે લાંબો ટ્રાફીક જામ સાથે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. બાદમાં બંદોબસ્તમાં રહેલ પોલીસે તાત્કાલીક રોડ કલીયર કરાવી ટ્રાફીક જામ હળવો કરાવ્યો હતો.
► અગાઉ મ્યુનિ. કમિશ્નર હતા તેને તપાસમાં રાખવામાં આવે તે યોગ્ય નથી: ગેનીબેન ઠાકોર
સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે અગાઉ જે મ્યુનિ. કમિશ્ર્નર બંછાનિધી પાની હતા તેમને તપાસ સોંપવામાં આવે તે યોગ્ય નથી. જેના નેજા હેઠળ ભ્રષ્ટાચાર થયો હોય તેવા જ અધિકારી તપાસ કરે તો સત્ય બહાર આવી શકે નહી. ગુજરાત પોલીસ વિભાગમાં જેનું સારુ નામ છે તેમજ જેના પર લોકોને વિશ્ર્વાસ છે તેવા અધિકારીઓને તપાસ સોંપવી જોઈએ. જુદા જુદા વિભાગમાં પીડિતના વકીલો અને પરિવારો જેના નામ કહે તેને તપાસ સોંપવી જોઈએ.
► પોલીસે સયંમ જાળવ્યો
અગ્નીકાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કર્યા બાદ પોલીસ કમિશ્ર્નર કચેરીએ હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. એક સમયે તો લો એન્ડ ઓર્ડરની સ્થિતિ વણશશે અને પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી થશે તેવુ ચિત્ર ઉપસી આવ્યુ હતું પરંતુ શહેર પોલીસે એકદમ સંયમ જાળવી કાર્યકરો અને લોકોને સમજાવ્યા હતા અને રજુઆત શાંતિથી પુરી થતા રાહતનો શ્વાસ લીધો હતો.
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ભોગ બનેલા પીડિતોને ન્યાય અપાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા બહુમાળી ભવન ચોકથી નિકળેલી રેલી જીલ્લા પંચાયત ચોક પાસે પહોંચતા જ ઉગ્ર બની ગઈ હતી. સાંસદ સભ્ય, ધારાસભ્ય સહીતના આગેવાનોએ રોડ પર બેસી વાહનોને અટકાવી તેની પર ચડી ઉગ્ર દેખાવો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા તેમજ પોલીસ કમિશ્નર કચેરીમાં પણ હલ્લાબોલ કરી પોલીસ કમિશ્નરને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. (તસ્વીર: ભાવિન રાજગોર, પંકજ શીશાંગીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy