શેરબજારમાં 900 પોઈન્ટનો કડાકો: 6 લાખ કરોડ ડુબ્યા

India, Business | 15 April, 2024 | 05:28 PM
ઈરાનના ઈઝરાયેલ પરના હુમલાથી ગભરાટ: હેવીવેઈટથી રોકડા સુધી તમામ ક્ષેત્રોના શેરોમાં ગાબડા: માર્કેટકેપ ઘટીને 394.66 લાખ કરોડ
સાંજ સમાચાર

રાજકોટ તા.15
મુંબઈ શેરબજારમાં આજે મંદીનો આંચકો અનુભવાયો હતો. ઈરાનના એટેક બાદ ઈઝરાયેલનુ યુદ્ધ ભડકવાના ભણકારાથી વૈશ્ર્વિક મંદીથી ભારતીય માર્કેટ પણ ધસી પડયુ હતું. આક્રમણકારી વેચવાલીના દબાણથી સેન્સેકસમાં 851 પોઈન્ટનો કડાકો સર્જાયો હતો અને ઈન્વેસ્ટરોની સંપતિનું 6 લાખ કરોડનું ધોવાણ થયુ હતું.

શેરબજારમાં આજે માનસ નબળુ હતું. ઈરાને ઈઝરાયેલ પર ડ્રોન-મિસાઈલ હુમલો કર્યાનો ગભરાટ હતો. બદલો લઈ લીધો હોવાનું જાહેર કરીને ઈરાને વધુ હુમલા નહીં કરવાનું સ્પષ્ટ કર્યું હતું પરંતુ આવનારા દિવસોમાં તંગદીલી યથાવત રહેવાની અને ગમે ત્યારે ફરી યુદ્ધ ભડકવાની આશંકાથી ગભરાટ હતો. દરેક ઉછાળે વેચવાલીનો મારો આવી જતો હોવાની છાપ હતી. વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલી, ભારતમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબકકાનું મતદાનનો નજીક આવતો દિવસ, જેવા કારણોની નેગેટીવ અસર હતી. ભારતીય ચોમાસુ નોર્મલ કરતા પણ સારુ રહેવાની હવામાન વિભાગે આગાહી જાહેર કરી હતી છતાં અંતિમ તબકકામાં તેની કોઈ પોઝીટીવ અસર ન હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે મીડલઈસ્ટના ટેન્શનના પ્રત્યાઘાતો પર નજર રાખીને સાવચેતી રાખવામાં આવતી હતી. હવે ચૂંટણી પર ફોકસ રહેવાના સંજોગોમાં અફડાતફડીનો માહોલ રહી શકે છે.

શેરબજારમાં આજે મોટાભાગના શેરોમાં ગાબડા પડયા હતા. બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, હિન્દલીવર, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક બેંક, લાર્સન, મહીન્દ્ર, એનટીપીસી, પાવરગ્રીડ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સીમેન્ટ, એકસીસ બેંક, શ્રીરામ ફાઈનાન્સ, વીપ્રો જેવા શેરોમાં ગાબડા હતા. ઓએનજીસી, હિન્દાલ્કો, ટીસીએસ, મારૂતી, નેસલે, રીલાયન્સ, એકસાઈડ જેવા શેરો ઉંચકાયા હતા.

મુંબઈ શેરબજારના સેન્સીટીવ ઈન્ડેકસમાં 851 પોઈન્ટનો કડાકો હતો અને 73393 સાંપડયો હતો તે ઉંચામાં 73905 તથા નીચામાં 73315 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 248 પોઈન્ટના ગાબડાથી 22271 હતો તે ઉંચામાં 22427 તથા નીચામાં 22263 હતો. મીડકેપ ઈન્ડેકસમાં 700 પોઈન્ટથી અધિકનું ગાબડુ પડયુ હતું. બીએસઈમાં આજે કુલ 4041 શેરોમાં ટ્રેડીંગ થયુ હતું તેમાંથી 3008 શેરોમાં ઘટાડો હતો. માત્ર 885 શેરો ઉંચકાયા હતા. 163 શેરો વર્ષની ઉંચાઈએ પહોંચ્યા હતા. 280 શેરોમાં તેજીની સર્કિટ હતી જયારે 421માં ઉંધી સર્કિટ હતી. શેરબજારમાં મંદી વચ્ચે ઈન્વેસ્ટરોની સંપતિમાં 6 લાખ કરોડનું ધોવાણ થયુ હતું. બીએસઈનુ માર્કેટ કેપીટલાઈઝેશન 394.66 લાખ કરોડ થયુ હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj