મુંબઈ,તા.16
પોતાનાં નિવાસસ્થાને હુમલાખોરોએ ગોળીબાર કર્યો હોવા છતાં સલમાનખાને પોતાનું કામ ચાલુ રાખવાનો અને ફિલ્મોનું શુટીંગ પુર્ણ કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સલમાન આ હુમલા પાછળ રહેલાં લોકો પર વધુ ધ્યાન આપવા માંગતો નથી અને હુમલા પછી પણ તે પોતાનું કામ ચાલુ રાખશે. સલમાન પહેલાથી નિર્ધારિત થયેલા શુટીંગ પૂર્ણ કરશે. તે આ ગોળીબારની ઘટના પાછળના લોકો પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગતો નથી કારણ કે તેને લાગે છે કે તેઓ પણ આ જ ઈચ્છે છે.
સલમાન અને તેના પરિવારે આ ઘટનાને મહત્વ આપવાનું ટાળ્યું છે. ઉલ્ટાનું તેમણે ફેન્સ અને બોલીવુડ કલાકારોને ચિંતા ન કરવા જણાવ્યું છે. સલમાને ઈન્ડસ્ટ્રીના મિત્રો અને ચાહકોને ચિંતા ન કરવા વિનંતી કરી છે. આ ઉપરાંત, તેણે તેમને ગેલેકસી એપાર્ટમેન્ટમાં ન જવા પણ જણાવ્યું છે.
સલમાનના પિતા અને પ્રસિદ્ધ લેખક સલીમખાને એક મીડીયાને ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, સલમાન તેનાં નામ પર બહુ ફોકસ કરે છે. આ અંગે કશું કહેવાનું રહેતુ નથી. હુમલાખોરોને માત્ર પબ્લીસીટી જોઈએ છે. બહુ ચિંતા કરવાની જરૂર નથી. દરમિયાન, સલમાને સોમવારે દુબઈમાં પોતાની ફિટનેસ બ્રાન્ડ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.
હુમલાની ઘટના બાદ સોશિયલ મીડીયા પર સલમાનની આ પહેલી પોસ્ટ છે. તેણે પોતાનાં ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તે તેની બ્રાન્ડને પ્રમોટ કરતો જોઈ શકાય છે. વિડીયો સામે આવતાની સાથે જ ચાહકોએ કોમેન્ટ બોકસ તેમના ફેવરીટ એકટર પ્રત્યેની લાગણી અને પ્રેમ અભિવ્યક્ત કર્યો હતો. એક પ્રશંસકે લખ્યું, કરોડો લોકોની પ્રાર્થના તમારી સાથે છે તો અન્ય એક પ્રશંસકે કહ્યું. મારા ‘ભાઈ’નો એક વાળ પણ કોઈ વાંકો કરી શકે તેમ નથી.
રવિવારે સાંજે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે અને રાજકારણી બાબા સિદીકીના પુત્ર ઝીશાન સિદીકીએ સલમાનની તેનાં ઘરે મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, સલમાનના ભાઈઓ અરબાઝ અને સોહેલ ખાને પણ તેની મુલાકાત લીધી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy