અયોધ્યા,તા.17
ભગવાન શ્રીરામની જન્મભુમિ અયોધ્યામાં ભવ્ય રામમંદિર ખુલ્લુ મુકાયા પછીની પ્રથમ રામનવમીએ આજે અયોધ્યામાં રામભકતોનો મહાગર છલકાયો હતો.પરોઢીયે 3-30 વાગ્યે મંદિરના કપાટ ખૂલવા સાથે દિવ્ય અભિષેક સાથે દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા. બપોરે ‘સુર્યતિલક’ થયુ હતું.
ભગવાન શ્રીરામનાં જન્મોત્સવ નિમિતે આજે અયોધ્યાનું શ્રીરામ મંદિર દર્શનાર્થીઓ માટ સવારે 3.30 વાગ્યે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. સામાન્ય રીતે 6.30 વાગ્યાથી ખુલતુ હોય છે આજે રાત્રે 11.30 વાગ્યા સુધી તે ખુલ્લુ રહેશે.અર્થાત સળંગ 20 કલાક સુધી રામલલ્લાનાં દર્શન થશે.
અયોધ્યામાં ભગવાન શ્રીરામનાં જન્મ સ્થળે 500 વર્ષ બાદ પ્રથમવાર જન્મોત્સવ ઉજવાય રહ્યો છે. સદીઓનાં સંઘર્ષ અને કાનુની વિવાદ વચ્ચે અદાલતે હિન્દૂઓને અધિકાર સોંપ્યો હતો અને ત્યારબાદ મંદિરનું નિર્માણ થયુ હતું. આજે ભવ્ય અને દિવ્ય રીતે ભગવાન શ્રીરામની જન્મની ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ લાખો ભાવિકો અયોધ્યામાં ઉમટી પડયા હતા અને જન્મોત્સવનો ગજબનાક ઉત્સાહ-ઉમંગ જોવા મળ્યો હતો.
વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભાવીકોએ ભગવાન શ્રી રામને જયઘોષ બોલાયો હતો.વેદમંત્રોના પાઠ સાથે દુધનો અભિષેક કરવામાં આવ્યો હતો.આ દરમ્યાન પણ દર્શન ચાલુ જ રાખવામાં આવ્યા હતા.સમગ્ર રામમંદિર સંકુલને ફુલોની અદભુત સજાવટ કરવામાં આવી હતી. ભકિતપથ તથા રામપથ પર મેટ પાથરવામાં આવી છે.એટલે દર્શનાર્થીઓને આકરા ઉનાળાનાં તાપથી રાહત મળી શકે. ગરમીથી રક્ષણ આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આજે વહેલી સવારે જ 6 લાખથી વધુ ભાવીકો દર્શન માટે પહોંચી ગયા હતા આજે આખા દિવસ દરમ્યાન 40 લાખ દર્શનાર્થીઓ આવે તેવો અંદાજ છે. અયોધ્યામાં 20 મી એપ્રિલ સુધી રામનવમીની ખાસ ઉજવણી જાહેર કરવામાં આવી છે.દેશ વિદેશમાંથી ઉમટેલા લાખો ભકતોને કોઈ પરેશાની ન થાય તે માટે સુરક્ષા બંદોબસ્ત સહીતની વ્યવસ્થા કરવામાં આવી છે.
મંદિરમાં દર્શન ઉપરાંત ભાવીકો સરયુ નદીમાં પવિત્ર ડુબકી લગાવતા રહ્યા હતા ત્યાં પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સરયુ ઘાટ મંદિર સહીતનાં સ્થળોએ ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. ટ્રાફીક વ્યવસ્થાના ભાગરૂપે અયોધ્યા નગરીમાં 11 કલકસ્ટર બનાવવામાં આવ્યા છે. આકરી ગરમીને ધ્યાને રાખીને 100 થી વધુ સ્થળોએ પાણીની વ્યવસ્થા કરાઈ છે. 9 સ્થળોએ ભંડારા છે. રામ નવમીની વિશેષ પુજા માટે 56 પ્રકારના ભોગ તૈયાર કરાયા છે.જે રામલલ્લાને અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ ભકતોને આપવામાં આવશે.
માથા પર ચરણ પાદુકા સાથે 700 કિ.મી.ની પદયાત્રા
રામનવમી પર 40 રામ ભક્તો જયપુરથી 700 કિલોમીટર ચાલીને અયોધ્યા પહોંચ્યા છે. રામ ભક્ત હરિઓમે કહ્યું- 21 માર્ચે માથા પર તેઓ 750 ગ્રામ ચાંદીની ચરણ પાદુકા, અખંડ જ્યોતિ અને ધ્વજ લઈને નીકળ્યા હતા. અમે બધા ભગવાનનું નામ લઈને અયોધ્યા પહોંચ્યા. ચરણ પાદુકાને શહેરનું ભ્રમણ કરાવ્યું. પછી સરયુમાં સ્નાન કર્યું. આ પછી અમે તેને રામલલ્લાને સમર્પિત કરીશું.
રામલલ્લાને ગુલાબી વસ્ત્રો તથા સોનાનો શણગાર
રામલલ્લાને આજે ગુલાબી વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. જેના પર સૂર્યનું ચિહ્ન બનેલું છે. તેમને સોનાનો મુગટ, હાર પહેરાવવામાં આવ્યા છે, જે હીરા, નીલમ, માણેક જેવા રત્નોથી જડેલા છે. રામલલ્લાની પૂજામાં ગુલાબ, કમળ, મેરીગોલ્ડ, ચંપા, ચમેલી જેવા ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy