નવી દિલ્હી,તા.6
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વધુ એકવાર વિવાદમાં ઘેરાઈ ગયા છે. દેશના 181 જેટલા શિક્ષણવિદોએ રાહુલને ખુલ્લો પત્ર લખીને રાહુલ સામે વિરોધ કર્યો છે. વાત એમ છે કે રાહુલ ગાંધીએ વિશ્વ વિદ્યાલયોમાં કુલપતિઓની નિયુક્તિ સામે સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ કુલપતિઓની નિયુક્તિ તેમની યોગ્યતાને બદલે કોઈ સંગઠન સાથે તેમના સંબંધના કારણે કરવામાં આવે છે.
રાહુલ ગાંધીએ સીધો આરોપ જ લગાવ્યો હતો કે શૈક્ષણિક સંગઠનોમાં નિયુક્તિ હિન્દુવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે સંબંધના આધારે રહી છે.
રાહુલના આ નિવેદન સામે દેશના અનેક વિશ્વ વિદ્યાલયોના કુલપતિઓ અને પુર્વ કુલપતિઓ સહિત 181 જેટલા શિક્ષણવિદોએ રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર લખી વિરોધ દર્શાવ્યો છે. તેમણે રાહુલ સામે નિયુક્તિની પ્રક્રિયાના બારામાં ‘જૂઠ ફેલાવવાનો’ આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, આ શિક્ષણવિદોએ કોંગ્રેસ નેતા સામે કાનૂની કાર્યવાહીની પણ માંગ કરી છે.
શિક્ષણવિદોએ રાહુલના દાવાને ફગાવીને પત્રમાં લખ્યું છે કે, કુલપતિઓની પસંદગી પ્રક્રિયા સખ્ત અને પારદર્શક છે. તેમાં યોગ્યતા, વિદ્ધતા, વિશિષ્ટતા અને નિષ્ઠાના મૂલ્યો રહેલા છે. નિયુક્તિ પુરી રીતે શૈક્ષણિક અને પ્રશાસનિક કૌશલ પર આધારીત છે અને વિશ્વ વિદ્યાલયોને આગળ લઈ જવાનો દ્દ્રષ્ટિકોણ છે.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ની કુલપતિ શાંતિશ્રી ધુલીપુરી પંડિત, દિલ્હી વિશ્વ વિદ્યાલયના કુલપતિ યોગેશસિંહ અને અખિલ ભારતીય ટેકનીકલ શિક્ષા પરિષદ (એઆઈસીટીઈ)ના અધ્યક્ષ ટી.જી.સીતારામ સહિત વિભિન્ન ક્ષેત્રોમાં શિક્ષણવિદોએ આ ખુલ્લા પત્રમાં હસ્તાક્ષર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ હાલમાં જ સનસનીખેજ આરોપ લગાવ્યો હતો કે શૈક્ષણિક સંસ્થાઓમાં નિયુક્તિમાં હિન્દુવાદી સંગઠન રાષ્ટ્રીય સેવક સંઘ સાથે સંબદ્ધતા એક મુખ્ય કારણ રહ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy