રાજકોટ, તા.4
ગોંડલના 350 વર્ષ જુના રાજવી પરિવાર હસ્તકના આશાપુરા માતાજીના પુરાતન મંદિરમાં ગત રાત્રીના ત્રણ જેટલા તસ્કરોએ મંદિરના ચોકીદારને તેની ઓરડીમાં પુરી દઇ આશાપુરા મંદિર તથા બાજુમાં આવેલા ગણેશ મંદિરને નિશાન બનાવી ચોકીદારને બંધી બનાવી માતાજીના આભુષણો તથા રોકડ મળી કુલ રૂ.3.15 લાખની માલમતાની લૂંટ કરી જતા સનસનાટી મચી ગઈ હતી.
બનાવના પગલે રાજવી પરીવાર તથા જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, એલસીબી, ડોગ સ્કવોડ સહિતનો કાફલો આશાપુરા મંદિરે દોડી ગયો હતો. ચોકીદારની ફરિયાદ લઇ તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. જેમાં 4 આરોપી સીસીટીવીમાં જોવા મળે છે. આશરે રાત્રે 2થી 3 વચ્ચે ગુનાને અંજામ અપાયો છે.
ફરિયાદમાં યોગેન્દ્રસિંગ બલવંતસિંગ થાપા (નેપાલી) (ઉવ.75 રહે. ગોંડલ શીવ શક્તિ નગર નાગડકા રોડ)એ જણાવ્યું કે, હું ગોંડલ આશાપુરા મંદીરે છેલ્લા ચાર મહીનાથી ચોકીદાર તરીકે નોકરી કરું છું. મારી નોકરીનો સમય રાત્રીના આઠથી સવારના સાત સુધીનો છે. ગઇકાલ તા.2/7/2024 ના રાતના આઠેક વાગ્યે હું મારી નોકરી ઉપર આવેલ હતો. મોબાઇલ જોતો હતો.
ત્યારે રાતના આશરે એક વાગ્યે કુતરા ભસવાનો અવાજ આવતા હું બેટરી લઈને મંદીરના બગીચા બાજુ આંટો મારવા ગયેલ અને બેટરીની લાઈટ ચાલુ કરી આજુ બાજુમાં જોયેલ બાદ હું પેશાબ કરવા માટે ગયેલ અને પાછો આવેલ તો રીધ્ધી સીધ્ધી વિનાયક મંદીરનું શટર ખુલ્લુ હોય જેથી મે બંધ કરવાનો પ્રયાસ કરતા મને ખ્યાલ આવેલ કે શટર અડધેથી તોડી નાખેલ છે.
જેથી હું મોબાઇલ લેવા મારા રૂમ બાજુ જતા બેમાણસો મોઢે માસ્ક બાંધેલા હોય તેણે મને પકડી લીધેલ અને ત્રીજો માણસ જેના હાથમાં છરી હોય તેણે મને છરી બતાવેલ અને કહેલ કે ચુપ તેમ કહી મને પકડી મંદીરની બાજુના રૂમમાં લઇ ગયેલ અને મને ખુરશી ઉપર બેસાડી એક જણો મારી પાસે ઉભો રહેલ અને બીજા બે જણા રૂમનો કબાટ વીખવા લાગેલ અને આખો કબાટ વીખી નાખેલ બાદ બે જણા આશાપુરા મંદીર તરફ ગયેલ અને એક જણો મારી પાસે ઉભો હોય જેણે મારા ખીસ્સા તપાસી મારા ખીસ્સામાં મે પર્સ રાખેલ હોય જેમા એક 4 ગ્રામનો સોનાનો હાર તથા એક 2.5 (અડી) ગ્રામનુ સોનાનુ મંગળ સુત્ર લઇ લીધેલ.
અડધી કલાક પછી આ બન્ને લોકો પાછા રૂમમાં મારી પાસે આવેલ અને ત્રણેય જણાએ મને ખુરશીમા સાડીથી હાથ પગ બાંધી રૂમ બહારથી બંધ કરી જતા રહેલ અને રોજ સવારે એક ભાઈ મંદીરે દર્શન કરવા આવતા હોય જેને હું જોયેથી ઓળખતો હોવ તેમણે રૂમનો દરવાજો બહારથી ખોલેલ એટલામાં મંદીરના પુજારી પણ આવી ગયેલ જેથી મેં આ લોકોને વાત કરેલ કે રાત્રે ત્રણ જણા મોઢે માસ્ક બાંધીને આવેલ હતા અને મને છરી બતાવી આ રૂમમાં પુરી મારા ખીસ્સા માથી મંગળ સુત્ર તથા સોનાનો હાર કાઢી લીધેલ અને મને ખુરશી સાથે બાંધી રૂમ બહારથી બંધ કરી જતા રહેલ.
તેમ વાત કરેલ બાદ અમે આશાપુરા માતાજીના મંદીરમાં ગયેલ અને ત્યાં જોયુતો મંદીરના દરવાજામાં મારેલ તાળા તુટેલ પડેલ હતા અને મંદીરમાં માતાજીની મુર્તિને ચડાવેલ સોના ચાંદીના દાગીના તથા છતર ચોરી થયેલ હતા અને પુજારી એ જોયેલ તો આ દાગીનામાં (1) ચાંદીના છતર નંગ-4 આશરે 1 કીલો (2) ચાંદીની થાળી નંગ-1 આશરે 400/- ગ્રામ (3) ચાંદીની કંકાવટી નંગ-1 આશરે 50/- ગ્રામ (4) ચાંદીના ચરણ પાદુકા જોડી-1 આશરે 400/- ગ્રામ (5) માતાજીનો ચાંદીનો મુગટ-નંગ-1 આશરે 300/- ગ્રામ (6) સોનાના આશરે 65 જેટલા ચાંદલા આશરે 3 તોલા (7) સોનાની નથ નંગ-1 આશરે 4 ગ્રામ ચોરી થયેલ નુ જણાયેલ તથા દાનપેટી પણ તુટેલ હોય જેમા આશરે 5000/- રૂપીયા રોકડ ચોરી થયેલનું જણાયેલ હતું.
બાદ અમે રીધ્ધી સીધ્ધી વીનાયક મંદીર પાસે જઈ જોતા મંદીરનું શટર કાપેલ હોય જે મંદીરમા પુજારી એ અંદર જઇ જોતા મંદીરમાથી (1) ચાંદીનુ છત્તર નંગ-1 આશરે 1 કીલો તથા દાનપેટી તોડી તેમાથી આશરે રૂ.500/- રોકડા ચોરી કરેલનું જણાયેલ. બાદ મહાદેવના મંદીર પાસે જઈ જોતા આ મંદીરની જારીને મારેલ તાળુ તુટેલ હતુ
તથા મંદીર અંદર રહેલ દાનપેટીનું પણ તાળું તુટેલ હતુ અને આ મંદીરની દાનપેટીમાથી રોકડ રૂપીયા આશરે 300 જેટલા ની ચોરી થયેલનું જણાયેલ હતું. આ લૂંટ કરવા આવેલ ત્રણ જણામાં એક વ્યક્તિ આશરે 35 વર્ષની ઉંમરનો તથા બીજા બે જણા આશરે 25 વર્ષની ઉંમરના લાગતા હતા અને ત્રણેય જણાએ ચડ્ડા તથા ટી-શર્ટ પહેરેલ હતા. પોલીસે તપાસ કરતા ચારેક જણાં હોવાનું જાણવા મળેલ છે. ફરિયાદ નોંધી જુદી જુદી ટીમો તપાસ કરી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy