◙ અમીત શાહ, પ્રહલાદ જોશી, મનસુખ માંડવીયા, પરસોતમ રૂપાલા, સુપ્રિયા સુલે, દિગ્વીજયસિંઘ સહીતના દિગ્ગજ નેતાઓના ભાવિ ઈવીએમમાં સીલ થશે: કુલ 1386 ઉમેદવારો વચ્ચે મુકાબલો
◙ પશ્ચિમ બંગાળમાં ઝપાઝપી: બિહારમાં હિંસક ઘટનાક્રમમાં બે લોકોના મોત
નવી દિલ્હી તા.7
લોકસભાના ત્રીજા તબકકાની ચૂંટણીમાં આજે દેશનાં 11 રાજયો-કેન્દ્ર શાસીત પ્રદેશોમાં રંગેચંગે અને ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે. પ્રારંભીક બે કલાકમાં જ સર્વત્ર 10 થી 15 ટકા મતદાન થઈ ગયુ હતું. મતદાન ધરાવતા તમામ મત ક્ષેત્રોમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બિહારમાં હિંસક ઘટનાક્રમમાં બે લોકોનાં મોત નીપજયા હતા. કેન્દ્રીય પ્રધાનો અમીત શાહ, મનસુખ માંડવીયા, પ્રહલાદ જોશી, પરસોતમ રૂપાલા સહીતના દિગ્ગજ નેતાઓનાં ભાવિ ઈવીએમમાં સીલ થશે.
લોકસભાની ત્રીજા તબકકાની 92 બેઠકોમાં સવારથી ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે. 10 રાજયો-કેન્દ્ર શાસીત પ્રદેશોની આ બેઠકોમાં સૌથી વધુ 25 સીટ ગુજરાતની છે.ગુજરાતની તમામ 26 બેઠકોનું મતદાન એક જ તબકકે છે. સુરતની બેઠક અગાઉ જ બીનહરીફ થઈ ગઈ હોવાના કારણોસર આજે 25 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
ગુજરાત ઉપરાંત કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11, ઉતર પ્રદેશની 10, મધ્યપ્રદેશની 9, પશ્ચિમ બંગાળની ચાર ઉપરાંત આસામ, બિહાર, છતીસગઢ, દાદરાનગર હવેલી, ગોવા, જેવા રાજયોની બેઠકોનો સમાવેશ થાય છે.
ત્રીજા તબકકાનાં આજના ચૂંટણી મતદાનમાં કુલ 1386 મતદારો છે જેઓનું રાજકીય ભાવી ઈવીએમમાં કેદ થઈ જશે. આજના મતદાન સાથે લોકસભાની 50 ટકા કરતા વધુ બેઠકો પરનું મતદાન સંપન્ન થઈ જશે.
ગુજરાતમાં પ્રારંભીક કલાકોમાં 20 ટકાથી વધુ મતદાન થયુ હતું. આસામ, તિહાર, દાદરાનગર હવેલી, કર્ણાટકમાં પ્રથમ બે કલાકમાં 10 ટકાથી વધુ મતદાન હતું.છતીસગઢમાં આ આંકડો 14 ટકા ગોવામાં 12 ટકા, મધ્યપ્રદેશ તથા પશ્ચિમ બંગાળમાં 15-15 ટકા, અને ઉતર પ્રદેશમાં 12 ટકાથી વધુ મતદાન થયુ હતું.
આજના ચૂંટણી મતદાનમાં કેન્દ્રીય પ્રધાનો સહીતના દિગ્ગજ નેતાઓના રાજકીય ભાવી ઘડાય રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, ગાંધીનગર બેઠક પર છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા પોરબંદર, પરસોતમ રૂપાલા રાજકોટ બેઠક પર છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીનું પણ રાજકીય ભાવી નકકી થશે.
હોટ બેઠકોમાં મહારાષ્ટ્રની બારામતી બેઠક પર શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે જ સામે અજીત પવારનાં પત્નિ સુનેત્રાનો મુકાબલો છે.તેઓએ સવારે મતદાન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમીત શાહ, શરદ પવાર, અભિનેતા રીતેશ દેશમુખ, મનસુખ માંડવીયા, પરસોતમ રૂપાલા, કોંગ્રેસ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે, અજીત પવાર, સહીતનાં નેતાઓએ વહેલી સવારે જ મતદાન કર્યું હતું.
તમામ મતક્ષેત્રોમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત હોવા છતાં હિંસક છમકલા થતા રહ્યા હોય તેમ પશ્ચિમ બંગાળનાં જોગીપુરમાં ભાજપના ઉમેદવાર ધનંજય ઘોષ સાથે તૃણમુલ કોંગ્રેસના નેતાને ઝપાઝપી થઈ હતી. બિહારમાં પણ હિંસક બનાવોમાં બે લોકોના મોત થયા હતા.
લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ અને મુકત-ન્યાયી રીતે થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આકરી ગરમી-હીટવેવની આગાહીને કારણે સવારમાં જ વધુ મતદાન થાય તે માટે પણ પ્રયાસો થયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy