રાજકોટ,તા.15
દરેક ભૂખ્યાં જીવને ભોજન અને તરસ્યાને પાણી મળી રહે એવી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની કરુણા ભાવનાથી ઘાટકોપરના આંગણે દરરોજ હજારો જરૂરિયાતમંદ ભાવિકોને ગરમાગરમ સાત્વિક ભોજન અર્પણ કરવાના પારમાર્થિક પ્રકલ્પ ‘ગુરુ પ્રસાદ’નું શુભારંભ સ્વરૂપ ઉદ્ઘાટન સમારોહનું આવતીકાલે તા.16ના સવારના 9:30 કલાકે આયોજન કરવામાં આવેલ છે.
ઘાટકોપરમાં કોઈ ભૂખ્યું નહીં સુવે એવા સંકલ્પ સાથે દરરોજના હજારો જરૂરિયાતમંદ ભાવિકોને ગરમ ભરપેટ ભોજન કરાવીને એમની ક્ષુધા તૃપ્તિ કરવાની પરમ ગુરુદેવની પ્રેરણાએ સર્વમંગલ ટ્રસ્ટ યુ.એસ.એ સ્થિત શાહ હેપીનેસ ફાઉન્ડેશનના રીકાબેન મનુભાઈ શાહની ઉદાર ભાવનાના સંયોગે માનવતાના આ મહા પ્રકલ્પનો શુભારંભ ન માત્ર હજારો ક્ષુધાતુર ભાવિકોને શાતા - સમાધિ આપવાનું નિમિત્ત બનશે પરંતુ સમગ્ર સમાજ માટે જીવદયા-માનવતા અને સત્કાર્યોનું એક નવું દિશાચિન્હ બની રહેશે.
પારસધામ ઘાટકોપર દ્વારા સંચાલિત થનારા આ મહા પ્રકલ્પ અંતર્ગત ભાવિકોને ભોજનના વિતરણની વ્યવસ્થા ઘાટકોપરના એમ.એલ.એ પરાગ શાહ દ્વારા કરવામાં આવશે એમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આવતીકાલે તા.16ના જૂનના રવિવારે સવારે 9:30 કલાકે "ગુરુ પ્રસાદ" પ્રકલ્પનો ઉદ્ઘાટન સમારોહ પારસધામ, વલ્લભ ભાગ લેન, તિલક રોડ, ઘાટકોપર - ઇસ્ટ, મુંબઈ ખાતે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના પાવન સાંનિધ્યે સમાજના અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy