રાજકોટ, તા.15
રાજકોટ નજીક માલિયસણમાં ગૌચરની જમીન પર ખનીજ ચોરી ન કરવાનું કહેતા માલધારી પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં ઘવાયેલા દિનેશભાઈ સરેરીયાને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આરોપી તરીકે નવઘણ ગોલતર સામે આક્ષેપો કર્યા છે. પહેલા આરોપીએ સ્કોર્પિયોથી હડફેટે લઈ માલધારીને ઉડાડ્યો હતો. પછી કાર પલ્ટી મારતા ધોકા-પાઈપથી માર માર્યો હતો.
મળતી વિગત મુજબ દિનેશભાઈ અરજણભાઈ સરેરીયા (ઉ.વ.40, રહે. પૂજા પાર્ક, માલિયાસણ) આજે સવારનાં 11 વાગ્યાની આસપાસ માલિયાસણમાં બંસલ પેટ્રોલ પંપની પાસે ચાંદની હોટલ પાછળ ગૌચરની જમીનમાં ઘેટાં બકરા ચરાવતા હતા. ત્યારે તે જગ્યામાં નવઘણ રામજીભાઈ ગોલતર જમીન ખોદી મોરમ કાઢતાં હોય જેથી દિનેશભાઈએ ખોદવાની ના પાડતાં બંને વચ્ચે બોલચાલી થઈ હતી. બાદ નવઘણે સ્કોર્પીયો લઈ દીનેશભાઈને ઠોકર મારી ઉડાડ્યો હતો.
સ્કોર્પીયો પલ્ટી જતાં નવઘણે અને તેની સાથે રહેલ જેસીબી અને ખટારાના ડ્રાઈવરે પથ્થર, ધોકા અને પાઈપ વડે હુમલો કરી યુવકને ગંભીર ઈજા પહોચાડી હતી. બાદ ઈજાગ્રસ્ત હાલતમાં યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર હેઠળ છે.
દીનેશભાઈ ચારભાઈ અને ત્રણ બહેનમાં ત્રીજા નંબરના છે. તેઓને સંતાનમાં ત્રણ દિકરા હોવાનું તેઓનાં પરિવારજનોએ જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy