નવી દિલ્હી, તા. 25
લોકસભા ચૂંટણીના પ્રથમ તબકકા કરતા બીજો તબકકો ચૂંટણી પંચની પણ કસોટી કરી જાય તેવા સંકેત છે અને તા.16 માર્ચથી 16 એપ્રિલ સુધીમાં ચૂંટણી પંચને આચારસંહિતા ભંગ અંગે 200 જેટલી ફરિયાદો મળી છે. જેમાં ભાજપ તરફથી 51 ફરિયાદોમાંથી 38માં કાર્યવાહી થઇ છે. જયારે કોંગ્રેસ એ કુલ 59 ફરિયાદો કરી હતી.
જેમાં 51માં કાર્યવાહી થઇ છે અન્ય પક્ષોની 90 ફરિયાદોમાંથી 80 ફરિયાદોમાં કાર્યવાહી થઇ હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું હતું. બીજા તબકકામાં આક્ષેપો અને પ્રતિઆક્ષેપોમાં તમામ હદ વટાવાય છે અને મુસલમાનથી લઇ મંગલસુત્ર અને મેનીફેસ્ટો થી મનમોહનસિંઘ તમામ આ પ્રચારમાં છવાઇ ગયા હતા અને વિકાસની વાત પાછળ ધકેલાઇ જણાઇ રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ ત્રણ દિવસમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા મુદે જબરી તડાપીટ બોલાવી છે તો બીજી તરફ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે તેનો વળતો જવાબ આપી રહ્યા છે. કોંગ્રેસના સામ પિત્રોડા અમેરિકામાં બેઠા બેઠા ભારતની ચૂંટણી વિવાદમાં ફસાઇ ગયા છે અને છેલ્લે અનામત મુદો પણ ચૂંટણીમાં ફરી આવી ગયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવો આક્ષેપ કર્યો કે, જો કોંગ્રેસ ફરી સતા પર આવશે તો માતા અને બહેનોના સોના અને મંગલસુત્ર બંને બચશે નહીં અને તમારા સંતાનો માટે તમે જે સંપતિ ભેગી કરી છે તે પણ જેને વધુ બાળકો છે (મુસ્લિમ સમુદાય ભણી ઇશારો) તેને તમારી સંપતિ આપી દેવાશે. તો બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જવાબ આપતા જણાવ્યું કે દેશમાં ખામોશ લહેર ચાલી રહી છે અને જે નજરે ચડતી નથી પરંતુ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ અને મતદાતાઓથી ડરી રહ્યા છે તે જ દર્શાવે છે કે હવે તેમની વિદાય નકકી છે.
આ ચૂંટણીમાં અચાનક જ અનામતની એન્ટ્રી થઇ ગઇ છે અને ગૃહમંત્રી અમિત શાહે ભાજપ અનામત હટાવશે નહીં અને કોંગ્રેસને હટાવવા પણ નહીં દે તેવો પડકાર કર્યો તો સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે ત્યાં સુધી કહ્યું કે સરકાર હવે તમારો મતાધિકાર છીનવી લેશે તે સુરતની ઘટના દર્શાવે છે.
તો બીજી તરફ પ્રિયંકા ગાંધીએ મંગલસુત્ર મુદે ઇમોશનલ જવાબ આપીને ભાજપને ભારે ફટકો માર્યો, યોગી આદિત્યાથે કોંગ્રેસ પર શરીયા કાનુન લાવવા માંગે છે તેવો આક્ષેપ કર્યો. મમતા બેનર્જીએ પણ અંતે ચૂંટણી પંચને હડફેટમાં લઇ લીધુ અને કહ્યું કે પંચે ભાજપની સાનુકુળતા મુજબ સાત તબકકાનો ચૂંટણી કાર્યક્રમ તૈયાર કર્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy