નવી દિલ્હી તા.8
ભ્રામક વિજ્ઞાપનોને મામલે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં પતંજલીને ફટકાર લગાવ્યા બાદ સુપ્રીમ કોર્ટે હવે આઈએમએ (ઈન્ડીયન મેડીકલ એસોસીએશન)ના પ્રમુખ ડો. આરવી અશોકનને પણ આડે હાથ લીધા હતા. સુપ્રીમકોર્ટના જસ્ટીસ હિમા કોહલી અને અહસાનુદીન અમાનુલ્લાહની પીઠે ફટકાર લગાવતા આઈએમએ પ્રમુખને કહ્યું હતું કે આપે આપની પીઠ થાબડવાની જરૂર નથી.
પીઠે આઈએમએના વકીલને કહ્યું હતું કે આપ જ છો, જેમણે બીજા પક્ષ માટે કહ્યું કે તે ભ્રામક વિજ્ઞાપન ચલાવી રહ્યા છે તો તમે શું કહી રહ્યા છો? (અદાલતની કાર્યવાહી પર ટિપ્પણીને લઈને કહ્યું) આ મામલે આઈએમએ તરફથી હજુ વરિષ્ઠ વકીલે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે આઈએમએના અધ્યક્ષ મોટાભાગે નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે. કોર્ટે તેમને ટાંકતા કહ્યું કે તેમણે પોતાની પીઠ થાબડવાની જરૂર નથી.
સુનાવણી દરમિયાન કોર્ટે આઈએમએને સલાહ આપતા કહ્યું હતું કે, આપે આપના ડોકટરોના બારામાં પણ વિચાર કરવો જોઈએ. તેઓ દર્દીઓને હંમેશા મોંઘી અને બિનજરૂરી દવાઓ લખી દે છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો આપ કોઈની તરફ આંગળી ચીંધો છો તો બાકીની આંગળી આપની તરફ ચિંધાય છે.
સુપ્રીમકોર્ટે આગામી સુનાવણીમાં પતંજલીના બાબા રામદેવ અને વ્યવસ્થાપક આચાર્ય બાલકૃષ્ણને રજુ થવામાં છૂટ આપવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમે આઈએમએ પ્રમુખને પણ હાજર થવા તેડુ મોકલ્યું છે.
ઉલ્લેખનીય છે કે આઈએમએના અધ્યક્ષ ડો. આરવી અશોકને સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે આ ભાષા બરાબર નથી. આઈએમએ અધ્યક્ષના આ નિવેદન પર સુપ્રીમ કોર્ટે વાંધો ઉઠાવ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy