રાજકોટ, તા.4
રાજકોટમાં લોકસભા ચૂંટણીના જાહેર પ્રચારને આડે માત્ર 24 કલાક બાકી રહ્યા છે. અંતિમ ઘડીમાં પ્રચારનો ઝંઝાવાત સર્જવા ઉમેદવારોએ તમામ તાકાત કામે લગાડી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ સાંજે 6 વાગ્યે મહિલા સ્વાભિમાન જયોત પ્રગટાવવાનો પ્રચારનો નવતર કાર્યક્રમ જાહેર કર્યો છે.
ચૂંટણી પ્રચારના પ્રારંભથી જ સ્વાભિમાનની લડાઇ સાથે જ મેદાને જંગમાં ઉત્તરનારા પરેશ ધાનાણીએ આજે કોંગ્રેસના નવતર કાર્યક્રમની જાહેરાત કરી છે જે અંતર્ગત આજે સાંજે છ વાગ્યે રેસકોર્ષ પાસે બહુમાળી ચોક ખાતે સ્વાભિમાનની જયોત પ્રગટાવવામાં આવશે.
તમામ સમાજ જ્ઞાતિ-જાતિ અને ધર્મના લોકોને સાથે રાખીને આ સ્વાભિમાન જયોત પ્રગટાવાશે. એક બીજા પ્રત્યે સમર્પણની ભાવના અને ‘મિલે સૂર મેરા તુમ્હારા તો સૂર બને હમારા’ના ગીત સાથે સ્વાભિમાન જ્યોતમાં દીવડા પ્રગટાવવામાં આવશે.
તેઓએ કહ્યું કે, સમગ્ર ચૂંટણીમાં અને ચૂંટણી પછી પણ રાજકોટમાં સદ્ભાવના, સમ્યતા અને સ્વાભિમાનની રક્ષા કરવા સર્વ સમાજ સંપીને આ સ્વાભિમાનની જયોત પ્રગટાવશે અને આ ઐતિહાસિક કાર્યક્રમમાં શહેર-જીલ્લાની તમામ સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો, મહિલા મંડળો તથા મોટી સંખ્યામાં મહિલાઓને ઉપસ્થિત રહેવાનું આહવાન કર્યું હતું.
કોંગ્રેસ દ્વારા લોકસભાની રાજકોટ બેઠક પર પ્રતિસ્પર્ધી ભાજપને બરાબરની ટક્કર આપી જ રહ્યા છે. કોંગ્રેસના સીનીયર નેતા હોવાના નાતે નામ જાણીતું હોવાથી મતદારોમાં પણ પ્રભાવ છે. દરેકે દરેક વોર્ડથી માંડીને ગામડાઓ સુધી પ્રચારનું વાવાઝોડુ સર્જયું છે અને આજે હવે નવતર અને ઐતિહાસિક સદ્ભાવના જયોતનો કાર્યક્રમ રાખ્યો છે.
ચુંટણી પ્રચારમાં ‘સિંઘમ’ની એન્ટ્રી: પરેશ ધાનાણીનું ફિલ્મી સ્ટાઈલમાં ટવિટ
સિંઘમ-3ની શરૂઆત છે, સરદારના અસલી વારસદારોએ ‘સિંઘમ’ બનીને ‘જયકાંત શીકરે’ના અહંકારને ઓગાળવાનો છે
રાજકોટ તા.4
રાજકોટની લોકસભા બેઠકમાં સ્વાભિમાનની લડાઈ હોવાનું જાહેર કરીને ભાજપ સામે મેદાને પડેલા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પ્રચારનુ વાવાઝોડુ ફુકી જ રહ્યા છે. સાથોસાથ સોશ્યલ મીડીયામાં પણ શ્રેણીબદ્ધ ટવિટ સાથે ભાજપ પર પ્રહાર કરતા રહ્યા છે.
તેઓજ દ્વારા સ્વાભિમાનની લડાઈ સંબંધી સંખ્યાબંધ ટવિટ કરાયા જ હતા. હવે ફિલ્મી સ્ટાઈલે ટવિટ કરીને ‘સિંઘમ’ બનવાનું આહવાન કર્યુ છે. તેઓએ ટવિટમાં એમ લખ્યું છે કે રાજકોટ લોકસભાની ચુંટણી ‘સિંઘમ-3’ની શરૂઆત છે.
લેઉવા પાટીદારો પર ખાસ અને અઢારેય વર્ણને સંદેશો પાઠવવાનો પ્રયાસ કરીને વધુમાં એમ લખ્યું છે કે સરકારના અસલી વારસોએ હવે ખૂદ જ ‘સિંઘમ’ બની અને સતાની એડીએ ‘અઢારેય વર્ણ’ પર અત્યાચાર કરનારા બધા જ ‘જયંત શીકરે’ના અહંકારને ઓગાળવાની લડાઈ આગળ ધપાવવા વિનંતી કરૂ છું.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પુર્વે બનેલી ફિલ્મ ‘સિંઘમ’ સુપરહીટ બની હતી તેમાં પોલીસ ઓફીસર અને ગુંડામાંથી રાજકારણમાં વર્ચસ્વ જમાવવા મથતા જયંત શીકરેની વાર્તા હતી. ફિલ્મ સિંઘમના આધારે પરેશ ધાનાણીએ ટવીટ કર્યુ છે.
પરેશ ધાનાણીના આ ટવિટ પર ભાજપે વળતા પ્રહાર કર્યા હતા તેનો કોંગ્રેસે પણ વળતો જડબાતોડ જવાબ આપ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy