ન્યુ દિલ્હી : ફોજદારી કાયદાનો હેતુ સમાજમાં રહેતા લોકોની વર્તણૂક સુધારવાનો છે. માત્ર વળતર ચૂકવવાથી ગુનો સમાપ્ત નથી થતો એવી ટિપ્પણી દિલ્હી હાઇકોર્ટે કરી છે. કોર્ટે બંને પક્ષ વચ્ચે સમાધાનની દલીલના આધારે હત્યાના પ્રયાસની એક FIR રદ કરવાનો ઈનકાર કર્યો હતો.
જજ અનુપ કુમાર મેંદીરત્તાએ આરોપીઓની ગુનામુક્ત કરવાની અરજી ફગાવી દીધી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આરોપીએ આઈપીસીની કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ) હેઠળ ગંભીર ગુનાનું પુનરાવર્તન નહીં કરવાની ખાતરી આપવી પડશે. ઉપરાંત, સમાધાનને કારણે વધુ ગુનાને પ્રોત્સાહન નહીં મળે અને સમાજની શાંતિ જોખમમાં નહીં મુકાય.”
કોર્ટે ગયા મહિને અપાયેલા ચુકાદા અંગે અભિપ્રાય આપ્યો હતો કે, “વર્તમાન કેસમાં અરજદારોએ નાનકડી વાતમાં ફરિયાદીના મહત્વના શારીરિક અંગ પર ચપ્પાના ઘા કર્યા હતા. પીડિતને વળતરની રકમ આપવાથી એફઆઈઆર રદ કરવા માટે પૂરતો આધાર બનતો નથી. એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે, ફોજદારી કાયદાનો હેતુ સામાજિક નિયંત્રણ અને સમાજમાં રહેતા લોકોની વર્તણૂકના નિયમનનો છે.”
ઉલ્લેખનીય છે કે, અરજદારોએ આરોપો કબૂલ્યા વગર ૨૦૧૯માં કરાયેલી એફઆઈઆર રદ કરવાની માંગણી કરી હતી. તેમણે દલીલ કરી હતી કે પીડિતને વળતરની રકમ આપી દેવામાં આવી છે અને કેસનું યોગ્ય સમાધાન થઈ ચૂક્યું છે. જોકે, કોર્ટ તેમની દલીલ સાથે સંમત થઈ ન હતી. કોર્ટે જણાવ્યું હતું કે, નાનકડી વાતમાં અરજી કરનારા લોકોએ પીડિતને મહત્વના અંગો પર ચપ્પાના ઘાથી ઈજા પહોંચાડી હતી.
કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, “હત્યા, બળાત્કાર અને લૂંટ જેવા ગંભીર ગુનામાં કેસ રદ કરવાની સત્તાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આઈપીસીની કલમ ૩૦૭ હેઠળના ગુના ગંભીર ગણવામાં આવે છે. કારણ કે તેમને વ્યક્તિ નહીં, સમાજ સામેના ગુના તરીકે જોવાય છે.”
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy