નવી દિલ્હી,તા.2
સામાન્ય રીતે એવુ કહેવાય છે કે અદાલતોમાં રજાઓ, વેકેશનો વધુ હોય છે. દેશની અદાલતોમાં જયારે મોટી સંખ્યામાં કેસો પેન્ડીંગ પડયા હોય છે. ત્યારે અદાલતોમાં રજાઓની ટીકા પણ થતી હોય છે. ત્યારે સુપ્રિમ કોર્ટે આ મામલે સુનાવણી દરમ્યાન એવો ફોડ પાડયો હતો કે જજોને સપ્તાહમાં એક રજા પણ નથી મળતી હોતી.
સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે જે લોકો સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટમાં લાંબી રજાઓને લઈને ટીકા કરતા હોય છે તેમને એ ખબર નથી કે જજોને તો શનિવાર અને રવિવારની રજા પણ નથી મળતી.
જસ્ટીસ બીઆર ગોગોઈ અને સંદીપ મેહતાની પીઠે કહ્યું હતું કે જજોને વીક એન્ડ પર અન્ય કાર્યો ઉપરાંત વિભિન્ન સંમેલનમાં જવાનું હોય છે. સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટમાં રજાનો મુદ્દો ત્યારે આવ્યો જયારે પીઠ પશ્ચિમ બંગાળ સરકારની એક અરજી પર સુનાવણી માટે ગુરૂવારનો દિવસ નકકી કર્યો અને બન્ને પક્ષોને કહ્યું કે સુપ્રિમ કોર્ટનાં ગ્રીષ્મ કાલીન રજામાં જતા પહેલા દલીલો પુરી કરવામાં આવે જે 20 મેથી શરૂ થશે.
કોર્ટે કહ્યું કે, આમ થઈ જશે તો રજાઓ દરમ્યાન અમે નિર્ણય લખી શકશુ. આ વાત પર ભારત સરકારના સોલીસીટર જનરલ તુષાર મેહતાએ જજોનાં ખૂબ જ કડક શેડયુલની વાત ઉઠાવી હતી. ત્યારબાદ અદાલતે આ ટીપ્પણી કરી હતી.
રોજના 50 થી 60 કેસ
કેસની સુનાવણી માટે કેન્દ્ર તરફથી સોલીસીટર જનરલ મેહતાએ પીઠને કહ્યું હતું કે, સુપ્રિમ કોર્ટનાં જજ રોજના 50 થી 60 કેસ જુએ છે એટલે રજાના હકકદાર છે. વરિષ્ઠ વકીલ કપિલ સીબ્બલે કહ્યું હતું કે આ દેશમાં સૌથી અઘરૂ કામ છે.
રજાઓમાં નિર્ણયો લખે છે
જસ્ટીસ ગવઈએ કહ્યું હતું કે રજાઓ દરમ્યાન જજ તેમના દ્વારા સંભળાવવામાં આવતા કેસનાં નિર્ણયો રજાઓમાં જ લખવાના હોય છે. સોલીસીટર જનરલે કહ્યું હતું કે જેમને ન્યાયપાલીકાનાં બારામાં ખબર નથી તે લોકો તેની ટીકા કરતા હોય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy