નવીદિલ્હી,તા.15
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સતત સતરમી વખત રેપો રેટ યથાવત રાખ્યો છે, પરંતુ ઘણી બેન્કોએ લોન પર વ્યાજદરમાં વધારો શરૂ કરી દીધો છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ફરી એકવાર હોમ લોનના વ્યાજમાં વધારો કર્યો છે. લોન પર વધુ EMI ચૂકવવો પડશે. RBIની મોનેટરી પોલિસી મીટિંગના થોડા દિવસો બાદ એસબીઆઈએ વ્યાજમાં વધારાની જાહેરાત કરી છે.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ 15 જૂનથી તમામ કાર્યકાળ માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં 10 બેસિસ પોઈન્ટ અથવા 0.1%નો વધારો કર્યો છે. એસબીઆઈના આ પગલાંથી MCLR સંબંધિત તમામ પ્રકારની લોનની ઈએમઆઈ વધશે. આનો અર્થ એ છે કે હવે તમારે પહેલા કરતા દર મહિને લોન પર વધુ ઈએમઆઈ ચૂકવવો પડશે.
એસબીઆઈના વધારા સાથે, એક વર્ષનો એમસીએલઆર 8.65%થી વધી 8.75% થયો છે, ઓવરનાઈટ એમસીએલઆર 8.00%થી વધી 8.10% થયો છે અને એક મહિના અને ત્રણ મહિનાનો એમસીએલઆર 8.20%થી વધી 8.30% થયો છે. છ મહિનાનો એમસીએલઆર હવે 8.55%થી વધી 8.65% થઈ ગયો છે. વધુમાં, બે વર્ષનો એમસીએલઆર 8.75%થી વધીને 8.85% અને ત્રણ વર્ષનો એમસીએલઆર હવે 8.85%થી વધી 8.95% થયો છે.
હોમ અને ઓટો લોન સહિત મોટાભાગની રિટેલ લોન એક વર્ષના એમસીએલઆર રેટ સાથે જોડાયેલી છે. એમસીએલઆરમાં વધારાની અસર આરબીઆઈ રેપો રેટ અથવા ટ્રેઝરી બિલ યીલ્ડ જેવા બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડાયેલી લોન પર થતી નથી. જેથી તેના ગ્રાહકો પર ઈએમઆઈનો બોજો પડશે નહીં. ઓક્ટોબર 2019થી, એસબીઆઈ સહિતની બેન્કો માટે નવી લોનને આ એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે લિંક કરવી ફરજિયાત થઈ છે.
એસબીઆઈ એ પણ શુક્રવારે જાહેરાત કરી હતી કે તેણે બિઝનેસ વૃદ્ધિને ટેકો આપવા માટે બોન્ડ દ્વારા 100 કરોડ (આશરે રૂ। 830 કરોડ) એકત્ર કર્યા છે. ત્રણ વર્ષની પાકતી મુદત અને વાર્ષિક +95 બેસિસ પોઈન્ટના સિક્યોર્ડ ઓવરનાઈટ ફાઈનાન્સિંગ રેટ (SOFR) સાથે ફ્લોટિંગ રેટ નોટ્સ 20 જૂન, 2024ના રોજ એસબીઆઈની લંડન શાખા દ્વારા જારી કરવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy