મુંબઈ : કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા સંજય નિરુપમ ટૂંક સમયમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં જોડાશે. નિરુપમ 2005માં કોંગ્રેસમાં જોડાયા અને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત થયા હતા.
તેમણે 2009ની ચૂંટણીમાં મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી જીત મેળવી હતી. જેમાં તેમણે ભાજપના દિગ્ગજ નેતા રામ નાઈકને મામૂલી અંતરથી હરાવ્યા હતા. જો કે, 2014માં તેમને આ જ મતવિસ્તારમાંથી ભાજપના ગોપાલ શેટ્ટી સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 2017ની મુંબઈ મ્યુનિસિપલ ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ નિરુપમે મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું.
કોંગ્રેસે ગયા મહિને નિરુપમને અનુશાસનહીન અને પક્ષ વિરોધી નિવેદનો બદલ છ વર્ષ માટે હાંકી કાઢ્યા હતા. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુધવારે શિવસેના અધિકારીઓની બેઠક બાદ કહ્યું કે, સંજય નિરુપમ ટૂંક સમયમાં શિવસેનામાં જોડાશે.
મૂળ બિહારના નિરુપમે 1990ના દાયકામાં પત્રકારત્વ દ્વારા રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ પછી, બાળ ઠાકરેના સમયમાં, સંજય નિરુપમ શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદક બન્યા. તેમના કામથી પ્રભાવિત થઈને શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ તેમને 1996માં રાજ્યસભામાં મોકલ્યા.
જોકે, 2005માં તેમને રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમને આંચકો લાગ્યો હતો. આ પછી મતભેદો વધ્યા અને નિરુપમ શિવસેના છોડીને કોંગ્રેસમાં જોડાયા. તે જ સમયે, હવે તેમને ગયા મહિને કોંગ્રેસ દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy