સુરત, તા.15
સુરતમાં એક જ પરિવારના ચાર લોકોના શંકાસ્પદ મોત નિપજતા ખળભળાટ સર્જાયો છે. દંપતિ તથા બે સાળી રાત્રે જમીને સુતા બાદ સવારે ઉઠ્યા જ નહતા. ફૂડ પોઇઝનીંગ અથવા ગૂંગળામણથી મોત થયાની શંકા સેવાઇ રહી છે. આત્મહત્યાની થિયરી પર પણ પોલીસ તપાસ કરી રહી છે.
શહેરના જહાંગીરપરામાં રહેતા જશુબેન કેશવભાઇ વાઢેર (ઉ.વ. 58)નો પુત્ર બિમાર હતો અને ઓપરેશન કરાયું હતું. એટલે તેમની તબીયત જોવા તેમની બે બહેનો શાંતુબેન વાઢેર તથા ગૌબેન હીરાભાઇ મેવાડા ઉપરાંત બનેવી હીરાભાઇ દાનભાઇ મેવાડા આવ્યા હતા. જશુબેનના પુત્રના નિવાસે રાત્રે જમીને ચારેય જશુબેનના ઘેર આવી ગયા હતા અને સવારે શંકાસ્પદ હાલતમાં મૃતદેહો મળ્યા હતા.
જહાંગીરપુરા સ્થિત રાજહંસ રેસીડન્સીના ફલેટમાં બનેલા આ બનાવની વિગતો મુજબ પરિવારના અન્ય સગા સવારે નાસ્તો આપવા ગયા હતા પરંતુ દરવાજો ન ખુલતા અજુગતુ બન્યાની શંકાથી પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ આવ્યા બાદ તપાસ કરાતા ચારેય મૃત હાલતમાં મળી આવ્યા હતાં.
સુરતના ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે ઉલ્ટીઓ થયાનું જણાવ્યું છે એટલે ફૂડ પોઇઝનીંગ થયું હતું કે કોઇ ઝેર લીધું હતું તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ જ રીતે ઘરમાં ગેસ ગીઝર ચાલુ હતું એટલે તેની અસર હેઠળ ચારેય લોકો ગૂંગળાઇને મૃત્યુ પામ્યા છે કે કેમ તેની પણ તપાસ થઇ રહી છે કોઇના શરીરમાં ઇજાના નિશાન નથી. પોસ્ટમોર્ટમ રીપોર્ટના આધારે મૃત્યુનું કારણ જાણી શકાશે.
ફલેટના પ્રવેશદ્વારની નજીક જ પુરુષનો મૃતદેહ હતો. બે બહેનોના મૃતદેહ પલંગ પર અને ત્રીજી મહિલાનો મૃતદેહ ઉલ્ટી કરાયેલી હાલતમાં ઉંધો પડ્યો હતો એટલે સમગ્ર ઘટના પર રહસ્ય ઘેરાયું છે.
પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું હતું કે મૃતકનો પુત્ર તથા અન્ય સગા નજીકમાં જ રહે છે. જશુબેનના બન્ને બહેન અને બનેવી ગામડેથી આવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ મૃત્યુનું સાચુ કારણ બહાર આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy