નવી દિલ્હી તા.18
લોકસભા ચૂંટણી 2024નું પ્રથમ ચરણનું 21 રાજયોનું 102 બેઠક પરનું મતદાન આવતીકાલ 19 એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન એનડીએના ઉમેદવારોને પત્ર લખ્યો છે અને તેમાં સંદેશ આપ્યો છે કે આ ચૂંટણી આપણા વર્તમાનને ઉજજવલ ભવિષ્ય સાથે જોડવાનો એક અવસર છે.
વડાપ્રધાને પોતાના સંદેશમાં લખ્યું છે કે, છેલ્લા 10 વર્ષમાં સમાજના દરેક વર્ગના જીવનની ગુણવતામાં સુધારો થયો છે, તેથી અનેક પરેશાનીઓ દુર થઈ છે પણ હજુ ઘણું કરવાનું બાકી છે. આ પરીસ્થિતિમાં આપણા મિશન માટે આ ચૂંટણી નિર્ણાયક રહેશે. આખા ભારતમાં પરિવાર, ખાસ કરીને વરિષ્ઠ સદસ્ય, કોંગ્રેસના શાસનના પાંચ-છ દાયકા દરમિયાન મુશ્કેલીઓમાંથી પસાર થયા છે, તે તેમની યાદ હશે.
આ ચૂંટણી આપણા વર્તમાનને ઉજજવળ ભવિષ્ય સાથે જોડવાનો એક અવસર છે. ભાજપને મળનાર પ્રત્યેક વોટ એક સ્થિર સરકાર બનાવવાની દિશામાં લઈ જશે અને 2047 સુધીમાં એક વિકસીત રાષ્ટ્ર બનવાની આપણી યાત્રાને ગતિ આપશે.
વડાપ્રધાને પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે ગરમીથી સૌ કોઈને પરેશાની થાય છે પણ આ ચૂંટણી આપણા દેશના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલે હું મતદાતાઓને વિનંતી કરું છું કે તેઓ ગરમી શરૂ થાય તે પહેલા વહેલી સવારે જલદી મતદાન કરે.
વડાપ્રધાન મોદીએ ઉમેદવારોને કહ્યું છે કે તેઓ દરેક મતદાતાઓને એ આશ્વાસન આપે કે તેમના સમયની દરેક ક્ષણ નાગરિકોના કલ્યાણ માટે સમર્પિત છે.
વડાપ્રધાન મોદીએ એનડીએના ચુંટણી લડી રહેલા બધા ઉમેદવારોને વ્યક્તિગત લખેલા પત્રમાં પોતપોતાના ચુંટણી ક્ષેત્રોમાં મતદાતાઓ સુધી તેમનો સંદેશ પહોંચાડવાનું કહ્યું છે.
ભાજપના સૂત્રોએ મોદીના બે પત્રોને શેર કર્યા છે તેમાં એક પત્ર ભાજપના તામિલનાડુ એકમના અધ્યક્ષ અને કોઈમ્બતુર સીટથી ચુંટણી લડતા ઉમેદવાર કે. અન્નામલાઈને અંગ્રેજીમાં લખ્યો છે અને બીજો પત્ર હિન્દીમાં ભાજપના મુખ્ય પ્રવકતા અનિલ બલૂનીએ લખ્યો છે, જે ઉતરાખંડના પૌડી ગઢવાલથી ચુંટણી લડી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy