નવી દિલ્હી,તા.1
કોરોનાકાળમાં અપાયેલી વેકસીનના મુદે હવે વિવાદ ભારતના આંગણે આવી ગયો છે અને પ્રથમ વખત દેશમાં કોરોનાની કોવિશિલ્ડ વેકસીન લીધા બાદ મૃત્યુ પામેલ એક મહિલાના માતા-પિતાએ આ વેકસીનના નિર્માતા સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયા સામે વળતરનો દાવો દાખલ કરવાની તૈયારી સાથે સુપ્રીમકોર્ટમાં એક રીટ કરીને ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સના નિષ્ણાંતોના વડપણ હેઠળ એક કમીટી રચી ભારતમાં વેકસીનની આડઅસર અંગે તપાસ કરવાની માંગણી કરી છે.
અરજદારે આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના નિવૃત જજ પણ આ કમીટીમાં હોય તે નિશ્ચિત કરવા જણાવ્યું છે અને ભારતમાં વેકસીનની આડઅસરના કારણે જે લોકોને જીવન ગુમાવવુ પડયુ હોય અથવા તો અપંગતા કે કાયમી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય તેમના કુટુંબીજનો અથવા તો જે તે વ્યક્તિને વળતર માટે કેન્દ્ર સરકાર વેકસીન ડેમેજ પેમેન્ટ સીસ્ટમ તૈયાર કરે તેવો આદેશ આપવાની પણ માંગણી કરી છે.
બ્રિટન સ્થિત ઓકસફર્ડ એસ્ટ્રાજેનેકાએ એક સ્થાનિક અદાલતમાં કબુલ કર્યુ કે તેના દ્વારા ઉત્પાદીત કોવિડ વેકસીનના કારણે ગંભીર સાઈડ ઈફેકટ થઈ શકે છે. જો કે એક લાખમાં એક વ્યક્તિને પણ ભાગ્યે જ આ પ્રકારની સાઈડ ઈફેકટ થઈ શકે છે. ભારતમાં એસ્ટ્રાજેનેકાની આ વેકસીનનું નિર્માણ પુના સ્થિત સીરમ ઈન્સ્ટીટયુટ દ્વારા કરાયું છે અને તેની કોવિશિલ્ડ વેકસીન ભારતમાં 70 ટકાથી વધુ લોકોએ ડબલ ડોઝમાં લીધી છે.
બ્રિટનમાં એસ્ટ્રાજેનેકા સામે દાવો દાખલ થયો છે તે સમયે કરૂણ્યા નામના એક મહિલાના પિતા વેણુગોપાલન ગોવિંદને સીરમને અદાલતમાં ઘસેડતા કહ્યું હતું કે એસ્ટ્રાજેનેકાએ બહુ વિલંબથી કબુલ કર્યુ છે પરંતુ તે સમય દરમ્યાન સેંકડોના જીવન ગયા છે. એસ્ટ્રાજેનેકા અને સીરમે યુરોપના 15 દેશોમાં આ વેકસીન મોકલવાનું બંધ કર્યુ હતું. કારણ કે તેમાં આડઅસરથી મૃત્યુની માહિતી બહાર આવી હતી.
જેમાં હવે એક રીટ પીટીશન દાખલ કરીને તેમની પુત્રીના મૃત્યુ બદલ વળતરનો દાવો દાખલ કરવા ઉપરાંત નિષ્ણાંતોનું એક મેડીકલ બોર્ડ રચીને તેમના પુત્રી અને અન્યના મૃત્યુ અંગે તપાસની માંગણી કરી છે.
જો કે સીરમે તેના પર કોઈ પ્રતિભાવ આપવાનો ઈન્કાર કર્યો છે. ગોવિંદને જણાવ્યું હતું કે, સરકારે કોવિડની આ વેકસીન સલામત અને અસરકારક છે અને તેની કોઈ સાઈડઈફેકટ નથી તેવો દાવો કર્યો હતો પરંતુ હવે જે વાસ્તવિકતા બહાર આવી છે તે અલગ જ છે અને તેથી સરકારે તેને ગંભીરતાથી લેવી જોઈએ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy