રાજકોટ,તા.27
રાજકોટ લોકસભા બેઠક સહિત સમગ્ર રાજયમાં ચૂંટણી પ્રચાર-પ્રસારનો માહોલ જામ્યો છે તો બીજી તરફ ભાજપનાં ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી ટીપ્પણીના પગલે સમગ્ર રાજયમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના ઉમેદવારો વિરૂદ્ધ પ્રચાર-પ્રસાર વચ્ચે હવે ક્ષત્રિય સમાજ સાથે ભેદભાવ થતો હોવાની રાજપૂત ક્ષત્રિય સમાજ સંકલન સમિતિએ આજરોજ રાજકોટ જિલ્લા લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબઝર્વરને લેખીત રજૂઆત કરી છે.
જેમાં સંવેદનશીલ વિસ્તારોની સંખ્યામાં એકાએક વધારો અને ક્ષત્રિય વિસ્તારોમાં મતદાન સ્લીપ વિતરણ કેમ નહીં ?તેવા વેધક સવાલો રજૂ કર્યા છે. રાજપૂત ક્ષત્રિય સંકલન સમિતિનાં આગેવાનો પી.ટી.જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, અનિરૂદ્ધસિંહ જાડેજા, ભાર્ગવીબા ગોહિલ, માયાબા ગોહિલ, વિ.એ.રાજકોટ સરકીટ હાઉસ ખાતે લોક-સભા બેઠકનાં જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરને લેખીત રજૂઆત કરી છે.
જેમાં લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા વાણી વિલાસથી રાજપૂત ક્ષત્રિય સમાજની લાગણીને ઠેસ પહોંચી છેજેની વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ લોકશાહી ઢબે શાંતિપૂર્ણ રીતે વિરોધ વ્યકત કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી જાહેરનામા સમયે રાજકોટ લોકસભા બેઠકમાં અંદાજે 822 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા બાદ 39 દિવસમાં અંદાજે 210 મતદાન મથકો સંવેદનશીલ કરવા પાણીનું કારણ શું?
ચૂંટણી અધિકારી અને કલેકટરને એવુ તે શું લાગ્યુ કે 1-2 નહી પરંતુ 210 બુથ અચાનક સંવેદનશીલ લાગ્યા? રાજકિય દબાણને વશ થઈ જાહેર કરાયા છે કેમ? તેવી રજૂઆત કરી છે. વધુમાં આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અમલ થવો જરૂરી છે. માત્રને માત્ર શાસક પક્ષ વિરૂદ્ધ પ્રદર્શન કરતા સમાજને લક્ષમાં લઈ તેમના દ્વારા વધારાના જે 210 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવા માટેની જે ભલામણ કરવામાં આવેલ છે.
તે 210 બુથ કયા વિસ્તાર છે તેની યાદી બહાર પાડવી સાથે ક્ષત્રિય સમાજના વિસ્તારોમાં મતદાન સ્લીપ વિતરણ થતુ નથી તેવા આક્ષેપ સાથે ઘટતી કાર્યવાહી કરવા અંતમાં રાજપૂત ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના પી.ટી.જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, અનિરૂદ્ધસિંહ જાડેજા, ભાર્ગવી બા ગોહિલ, માયાબા ગોહિલ વિ.એ.લેખીત રજૂઆતમાં જણાવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy