રાજકોટ, તા. 1પ
પૂરા વિશ્વ અને દેશની સાથે તા.21 જુનના રોજ મહાપાલિકા દ્વારા દર વર્ષની જેમ પાંચ સ્થળે તમામ શહેરીજનો માટે યોગ દિવસ ઉજવવા આયોજન કરાયું છે. ગઇકાલે સાંસદ, ધારાસભ્ય, મેયર સહિતના પદાધિકારીઓની હાજરીમાં મીટીંગમાં કાર્યક્રમ ફાઇનલ કરાયો હતો.
વિશ્વ યોગ દિન નિમિતે શહેરમાં કુલ પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં (1) સેન્ટ્રલ ઝોન, રેસકોર્ષ મેદાન, (2) વેસ્ટ ઝોન, નાનામવા ચોક ખાતેનું મેદાન, (3) ઈસ્ટ ઝોન, ગ્રીન લેન્ડ પાર્ટી પ્લોટ, (4) મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને (5) જીજાબાઈ સ્વિમિંગ પુલનો સમાવેશ થાય છે.
આ વર્ષે પણ રાજકોટ મનપા દ્વારા તા.21મી જુન વિશ્વ યોગ દિવસ નિમિતે શહેરના પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવેલ છે.
ગઇકાલની મીટીંગમાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, ડે.કમિશ્નર સ્વપ્નિલ ખરે અને હર્ષદ પટેલ, કોર્પોરેટરો, સમિતિના ચેરમેનો, સંસ્થાના પ્રતિનિધિઓ, અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં મેયરે કહ્યું હતું કે, આપણે ત્યાં એ ખુબ જાણીતી ઉક્તિ છે કે, યોગ ભગાડે રોગ, પહેલું સુખ તે જાતે નર્યા, દવાથી જે રોગ ન મટે તે યોગથી મટે, યોગ માનવ જાતને આપણી રૂષિ પરંપરા વખતથી મળેલી એક અણમોલ ભેંટ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે આખું વિશ્વ 21 મી જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિન તરીકે ઉજવે છે. પૂરા શહેરના લોકોને યોગ દિનમાં જોડાવવા તેમણે અનુરોધ કર્યો છે.
આ મીટિંગમાં પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, યોગ એ સૈકાઓથી આપણો પ્રાચીન વારસો રહ્યો છે, તેને સમગ્ર વિશ્વ કક્ષાએ ઉજાગર કરવાનો પ્રયત્ન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે. અત્યારે સમગ્ર વિશ્વ યોગ દિને યોગ કરી આપણી સાથે જોડાય છે જેનું ઉત્તમ ઉદાહરણ ગયા વર્ષે આપણે જોઈ લીધું. સમગ્ર ગુજરાતમાં માત્ર રાજકોટ ખાતે એક્વા યોગાનું આયોજન કરવામાં આવે છે જે સુંદર પ્રયાસ છે. યોગ કાર્યક્રમમાં માત્ર હાજરી આપીએ એટલું જ નહી વાસ્તવમાં આપણા રોજિંદાં જીવનમાં પણ યોગ અપનાવીએ અને નીરોગી બનીએ. તેમણે આયોજન બદલ મનપાને અભિનંદન આપ્યા હતા.
સ્ટે.ચેરમેન જયમીનભાઈ ઠાકરે કયું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં યોગનો ફેલાવો કરવામાં નિર્ણાયક ભૂમિકા નિભાવી છે. વધુ ને વધુ લોકો યોગ અપનાવી રહ્યા છે જેમાં મનપા દ્વારા પણ ઝોન કક્ષા, મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને જીજાબાઇ સ્નાનાગાર ખાતે મહત્તમ લોકો જોડાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાગ લેનાર તમામને સર્ટીફિકેટ આપવામાં આવશે. આ મીટિંગમાં સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ સ્વાગત અને આભાર વિધિ તથા ડે.કમિશ્નર હર્ષદ પટેલે આયોજનની રૂપરેખા આપી હતી.
આ મીટિંગમાં આર્ટ ઓફ લિવિંગ, બ્રહ્માકુમારી, પતંજલિ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રાષ્ટ્રીય શાળા, સ્વ-નિર્ભર શાળા, સ્પોર્ટ્સ કાઉટ, બીઇંગ કાઇન્ડ ફાઉન્ડેશન, નવશક્તિ સ્કૂલ, જીજાબાઈ સ્વિમિંગ પુલ, ભારત વિકાસ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, મેંગો પીપલ પરિવારના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy