નવી દિલ્હી :
નાગાલેન્ડના છ જિલ્લામાં મતદાનની ટકાવારી શૂન્ય હતી. અહીં મતદાન કર્મીઓ લગભગ 9 કલાક સુધી મતદાન મથકો પર મતદારોની રાહ જોતા રહ્યા પરંતુ ચાર લાખ મતદારોમાંથી એક પણ મતદાર મતદાન કરવા આવ્યો ન હતો. વાસ્તવમાં, આદિવાસી સંગઠનોની સર્વોચ્ચ સંસ્થા ઈસ્ટર્ન નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઈઝેશન (ENPO) દ્વારા અલગ રાજ્યની માંગણી માટે અહીં બંધની જાહેરાત કરવામાં આવી હતી.
શું કહ્યું મુખ્યમંત્રી નેફિયુ રિયોએ?
રાજ્યના મુખ્ય પ્રધાન નેફિયુ રિયોએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, સરકારને પૂર્વી નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઈઝેશનની FNT માટેની માંગ સાથે કોઈ વાંધો નથી કારણ કે તેણે આ પ્રદેશ માટે પહેલાથી જ સ્વાયત્ત સત્તાઓની ભલામણ કરી છે.
તમને જણાવી દઈએ કે ENPO પૂર્વી નાગાલેન્ડના સાત આદિવાસી સંગઠનોનું સર્વોચ્ચ સંગઠન છે. સીએમ નેફિયુએ કહ્યું કે તેમણે ફ્રન્ટિયર નાગાલેન્ડ ટેરિટરી (એફએનટી) માટે ડ્રાફ્ટ વર્કિંગ પેપર સ્વીકારી લીધું છે.
અધિકારીઓનું કહેવું છે કે, પૂર્વી નાગાલેન્ડના મુખ્ય રસ્તાઓ પર જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય ઈમરજન્સી સેવાઓ સિવાય કોઈ પણ વ્યક્તિની અવરજવર જોવા મળી નથી. નાગાલેન્ડના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી એવા લોરિંગે જણાવ્યું હતું કે મતદાન કર્મચારીઓ સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પ્રદેશના 738 મતદાન મથકો પર હાજર હતા. તેમાં 20 વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે અને અહેવાલ છે કે આ મતવિસ્તારના 20 ધારાસભ્યોએ પણ મતદાન કર્યું નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે તે નવ કલાક દરમિયાન મતદાન કરવા માટે કોઈ મતદાન મથકે આવ્યું ન હતું.
નાગાલેન્ડમાં કુલ 13.25 લાખ મતદારોમાંથી, પૂર્વી નાગાલેન્ડના છ જિલ્લાઓમાં 4,00,632 મતદારો છે. ઈસ્ટર્ન નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઈઝેશન (ENPO) દ્વારા છ જિલ્લાના અલગ રાજ્યની માંગ કરવામાં આવી રહી છે.
સંગઠનનો આરોપ છે કે, સરકારોએ આ વિસ્તારમાં સામાજિક અને આર્થિક વિકાસ કર્યો નથી. અગાઉથી જ ચેતવણી આપવામાં આવી હતી કે જો કોઈ વ્યક્તિ મતદાન કરવા જાય અને કાયદો અને વ્યવસ્થાને લગતી કોઈપણ પરિસ્થિતિ ઊભી થાય તો તેની જવાબદારી સંબંધિત મતદારોની રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy