(કુંજન રાડીયા)
જામ ખંભાળિયા, તા.15
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલી ખાનગી કંપનીના પ્રોજેક્ટ માટે ગઈકાલે શુક્રવારે બપોરે નજીકના મોટા માંઢા ગામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોજવામાં આવેલી લોક સુનાવણીના આયોજનમાં અહીંની મેસર્સ એસ્સાર બલ્ક ટર્મિનલ (સલાયા) લિમિટેડ કંપનીના પ્રોજેક્ટ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા સવિસ્તૃત મુદ્દાઓ સાથેની લેખિત વાંધા અરજી આપવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ રિદ્ધિબા શક્તિસિંહ જાડેજાએ આ લોક સુનાવણી દરમિયાન સ્થળ પર ઉપસ્થિત અધિકૃત અધિકારીઓને સંબોધીને પાઠવેલી વાંધા અરજીમાં જણાવ્યા મુજબ આ વિસ્તારમાં રહેતા પશુ, પક્ષીઓ, દરિયાઈ જીવસૃષ્ટિ જમીન જીવસૃષ્ટિ, પાણી, ખેતી, ચણિયારાના વિસ્તારો અને આસપાસના રહીશોના નીરોગી ગ્રામ્ય જીવન અને સમૃદ્ધ ગ્રામ્ય પ્રકૃતિના રક્ષણ માટે કરવામાં આવેલી રજૂઆત સંદર્ભે આ વાંધા અરજી આપવામાં આવી છે. કંપની દ્વારા આગામી સમયમાં જમીન સુધારણા, ડ્રેઝીંગ, બલ્ક એન્ડ બ્રેક બલ્ક, કન્ટેનર કાર્ગો, પેટ્રોકેમિકલ્સ, ઓઇલ એલ.એન.જી., લીક્વીડ કાર્ગો, પાઇપલાઇન જેવી નવી પ્રવૃત્તિઓ તથા આનુસંગિક કામકાજ માટે આયર્ન અને સ્ટીલ, કોક મેકિંગ, સોડાએસ, ફર્ટીલાઇઝર પ્લાન્ટ વિગેરે ઉત્પાદન પ્રવૃત્તિઓ માટે કોલસો, પેટકોક, લાઈમસ્ટોન જેવા જથ્થાબંધ કેમિકલની અવરજવર કારગો મારફતે કરવા તે અન્વયે પ્રદૂષણની શક્યતા વચ્ચે મનુષ્ય જીવન અને દરિયાઈ સૃષ્ટિ ખતમ થઈ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલની લોક સુનાવણીમાં વાંધો રજુ કરી ઉપરોક્ત બાબતને પરમાણુ બોમ્બ કરતા પણ વધારે ખતરનાક ઝેર અને મનુષ્ય જીવન અને દરિયાઈ સૃષ્ટિ માટે અતિ નુકસાનકર્તા હોવાનું જણાવ્યું છે.
આ વિસ્તારના પરોડીયા, મોટા માંઢા, સલાયા વિગેરે ગામોની સમૃદ્ધ ખેતી અને સમૃદ્ધ દરિયાઈ ખેતીથી જીવન, લોકોનું જીવન નિર્વાહ ખૂબ જ સુંદર અને સમૃદ્ધ રીતે ચાલી રહ્યું હોવાનું જણાવી અને આ વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા કોરિડોર ક્ધવેયર બેલ્ટ કે જે છેલ્લા આશરે આઠેક વર્ષથી કાર્યરત છે, તે પહેલા આ ગામોના રહીશોની સ્થિતિ ખૂબ જ સારી હતી અને મરીન જીવ સૃષ્ટિ અને દરિયાઈ જીવ સૃષ્ટિ પણ ખૂબ જ વિપુલ માત્રામાં પર્યાપ્ત હતી. આટલું જ નહિ, આ વિસ્તારમાં ફળદ્રુપ જમીન અને પાણીથી ભરેલા કુવાઓ વચ્ચે વ્યાપક સમૃદ્ધિ બાદ કંપની દ્વારા થતી કામગીરીમાં લાખો ટન હેરાફેરી થતા કોલસા તેમજ અનલોડીંગના કારણે જમીન અને હવા પ્રદુષિત થવા પામે છે. આટલું જ નહીં, કેમિકલ પરિવહનના કારણે તેમજ રજકણોના કારણે આખી દરિયાઈ પટ્ટી, ખેતીની જમીન, પશુધન વિગેરેને હાનિ થઈ રહી છે. લોકોમાં રોગનું પ્રમાણ પણ વધ્યું હોવાનું પણ જણાવાયું છે.
કંપની દ્વારા વ્યાપક પ્રમાણમાં પ્રદુષણ તેમજ કોલસી અને કેમિકલ્સ પરિવહનના કારણે ગ્રામજનોમાં કેન્સર, બી.પી., ચામડીની બીમારી, ડાયાબિટીસ જેવા રોગોનું પ્રમાણ પણ વધ્યું છે. હાલની ખાનગી કંપની દ્વારા મફતના ભાવે જમીન પડાવી લીધી હોવાનું જણાવી અને ખેડૂતો દસેક વર્ષથી કોર્ટ કાર્યવાહી કરી રહ્યા હોવાનું જણાવી, કંપની દ્વારા વ્યાપક અન્યાય તેમજ ગુંડા-મવાલી જેવા માણસો સાથે સંબંધ રાખીને નાના ખેડૂતો સાથે દાદાગીરી આચરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે હાલ પ્રોજેક્ટમાં વધારો થશે તો મોટાભાગના લોકોને પોતાના જાનમાલના રક્ષણ માટે હિજરત કરવાનો વખત આવશે તેવી પરિસ્થિતિ જોવા મળી હોવાનું પણ જણાવાયું છે.
સલાયાના દરિયાકાંઠા વિસ્તારમાં અગાઉ દાણચોરી તેમજ રૂપેણબંદર વિસ્તારમાંથી વિપુલ માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું છે. ત્યારે આ વિસ્તારમાં પણ દેશની સુરક્ષા અને ગોપનીયતા માટે કાર્ગો જેટીને પરવાનગી ન આપવાનું જણાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સ્થળ પર કાર્ગો જેટીને મંજૂરી આપવામાં આવશે તો આ વિસ્તારની હાલત પણ કંડલા પોર્ટ જેવી થવાની દહેશત વ્યક્ત કરી, ગ્રામજનોના ભવિષ્ય અને વિવિધ પ્રકારની થતી નુકશાનીથી બચવા માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કંપનીને મંજૂરી ના આપવામાં આવે તેમ જણાવી, આ લોક સુનાવણીમાં સખત વાંધા અરજી રજૂ કરી છે.
જો કંપનીને કોઈ પણ પ્રકારની પરવાનગી આપવામાં આવશે તો તે અંગે કાયદેસરના પગલાં લેવામાં આવશે તેમ પણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાડેજા દ્વારા વધુમાં જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy