♦ ચકચારી કેસમાં પ્રથમ સોલા પોલીસની તપાસ, એસઆઈટીની તપાસ, સીઆઈડી ક્રાઈમની તપાસ બાદ અંતે કેસ સીબીઆઈ પાસે ગયા બાદ દીનુ બોઘા સોલંકીનું નામ ખુલ્યું હતું
♦ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ.એસ.સુપૈયા અને જસ્ટિસ વી.કે. વ્યાસની કોર્ટે વ્યવસ્થિત પોલીસ તપાસ ન થઈ હોવાનું અવલોકન કર્યું
રાજકોટ, તા.6
અમિત જેઠવા હત્યા કેસમાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકી સહિત તમામ સાતેય આરોપીઓ નિર્દોષ છુટકારો થયો છે. વર્ષ 2010માં સોલા હાઇકોર્ટ સામે જ ગોળીઓ ધરબી આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા થઈ હતી. જેમાં સીબીઆઈ કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે હાઇકોર્ટમાં અપીલ થતા આરોપીઓને નિર્દોષ છુટકારો મળ્યો છે.
ચકચારી કેસમાં પ્રથમ સોલા પોલીસની તપાસ, પછી એસઆઈટીની તપાસ અને સીઆઈડી ક્રાઈમની તપાસ બાદ અંતે કેસ સીબીઆઈ પાસે ગયા પછી દીનુ બોઘા સોલંકીનું નામ ખુલ્યું હતું. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ.એસ.સુપૈયા અને જસ્ટિસ વી.કે. વ્યાસની કોર્ટે વ્યવસ્થિત પોલીસ તપાસ ન થઈ હોવાનું અવલોકન કર્યું છે.
ફરિયાદી પક્ષના કેસની વિગત મુજબ, તા.20/07/2010ના રોજ અમદાવાદ ખાતે સોલા સ્થિત ગુજરાત હાઇકોર્ટ સામે જ, સત્યમેવ કોમ્પલેક્ષ પાસે રાત્રે 8.40 વાગ્યે આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની ગોળીઓ ધરબી હત્યા થઈ હતી. સોલા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. પ્રથમ તપાસ પોલીસે ચલાવ્યા બાદ, એસઆઈટીએ તપાસ ચલાવી હતી. એ પછી સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપવામાં આવેલ.
દરમિયાન ફરિયાદી પક્ષ હાઇકોર્ટમાં ગયો હતો અને સીબીઆઈ તપાસની માંગ કરી હતી. સીબીઆઈને તપાસ સોંપાઈ એ પછી આ કેસમાં દીનુ બોઘા સોલંકીનું આરોપી તરીકે નામ ઉમેરવામાં આવેલ. ફરિયાદ પક્ષના આક્ષેપ મુજબ, મૃતક અમિત જેઠવા આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા. તેમણે કરેલી આરટીઆઈ અરજીઓના કારણે દીનુ બોઘા સોલંકી અને ભત્રીજા શિવા સોલંકીના માઇનિંગ કામમાં ખૂબ આર્થિક નુકસાની થતી હતી.
જેથી દીનુ સોલંકીના હળમળીયા ખાતેના ફાર્મ હાઉસમાં અમિત જેઠવાની હત્યા કરવાનું કાવતરૂ ઘડાયું હતું. અહીં દીનુ સોલંકી, શિવા સોલંકી અને બહાદુરસિંહ વાઢેર ત્રણેય વચ્ચે કાવતરૂ ઘડવા ચર્ચા થયેલી અને સોપારી આપી હત્યા કરવા નક્કી થયેલું. શાર્પ શૂટર ચાર આરોપી શૈલેષ નાનાલાલ પંડ્યા, પચાણ ગોપાલ દેસાઈ, સંજય પરબત ચૌહાણ અને ઉદાજી કાંતિજી ઠાકોરનો બહાદુરસિંહ વાઢેરે સંપર્ક કરી આ ચાર લોકોને હત્યાના કાવતરામાં સામેલ કરેલા. હત્યા કરાયા પછી દીનુ બોઘાએ આંગળીયા મારફત બહાદુરસિંહને રૂપિયા મોકલ્યા અને બહાદુરસિંહે શૂટર ચાર આરોપીને રૂપિયા આંગળીયામાં મોકલેલ.
સીબીઆઈ તપાસ બાદ સીબીઆઈ કોર્ટ અમદાવાદ ખાતે સાથે આરોપી સામે ચાર્જશીટ મુકવામાં આવેલ. હત્યા, કાવતરૂ, આર્મ્સ એકટ સહિતની કલમો સાથે ચાર્જ ફ્રેમ કરવામાં આવેલ. કેસ ચાલતા 197 સાહેદ - સાક્ષીઓ તપાસવામાં આવેલ. જેઓ હોસ્ટાઈલ થઈ ગયા હતા.
કેસમાં ફરી નવો વળાંક આવતા ફરિયાદી પક્ષે ફરી હાઇકોર્ટમાં અરજી કરવામાં આવેલી કે, આ કેસના તમામ સાક્ષી - સાહેદોને ફેર તપાસવામાં આવે. કારણે દીનુ બોઘા સોલંકીની ધાકથી ડરીને સાક્ષી - સાહેદો હોસ્ટાઈલ થયા છે. હાઇકોર્ટે તમામ સાક્ષી - સાહેદોને ફેર તપાસવા હુકમ કરેલું. જેની હુકમ સામે આરોપીપક્ષએ સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરી હતી. જેમાં બંને પક્ષને સાંભળી સુપ્રીમ કોર્ટ તમામ નહીં પણ મહત્વના 28 સાક્ષીઓને ફેર તપાસવા હુકમ કરેલો.
સીબીઆઈ કોર્ટ અમદાવાદમાં 28 સાક્ષીઓ ફરી હોસ્ટાઈલ થઈ ગયા હતા. જોકે, સીબીઆઈ કોર્ટે તમામ આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ સજાના હુકમ સામે તમામ આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ.એસ.સુપૈયા અને જસ્ટિસ વી.કે. વ્યાસની કોર્ટમાં કેસ ચાલી જતા વ્યવસ્થિત પોલીસ તપાસ ન થઈ હોવાનું અવલોકન કરી આજરોજ હાઇકોર્ટે તમામ સાતેય આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો હતો.
આ કેસમાં આરોપી બહાદુરસિંહ વાઢેર વતી હાઇકોર્ટમાં સિનિયર એડવોકેટ પ્રશાંત ખંઢેરિયા, વરિષ્ઠ ધારાશાસ્ત્રી જે.એમ. પંચાલ, કમલનયન પંચાલ, નરેન્દ્રસિંહ ઝાલા અને નિયંત ભીમાણી રોકાયેલા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy