♦ આશાપુરા મંદિરે સવારે ક્ષત્રિય સમાજનાં ભાઈ-બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં રથનું પૂજન-અર્ચન; શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં રથ ફરશે: જે સ્થળે રાત્રી રોકાણ ત્યાં સંમેલન: નારી શકિતનું અપમાન માફીને પાત્ર નહીં: ભાજપના ઉમેદવારોને હરાવવા સમગ્ર ક્ષત્રિય સમાજ મેદાનમાં..
રાજકોટ,તા.24
રાજકોટ જિલ્લા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ એક જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી ટીપ્પણી કર્યાના પગલે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની આંધી ઉઠતા ઉમેદવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી હતી તેમ છતા ક્ષત્રિય સમાજે લોકસભાની બેઠક પરથી પરસોતમ રૂપાલાને હટાવવા પ્રચંડ માંગણી ઉઠાવી છતાં માંગ નહીં સંતોષાતા ક્ષત્રિય સમાજે પાર્ટ-1 ‘ઓપરેશન રૂપાલા’ની લડત ચલાવ્યા બાદ પાર્ટ-2માં ધર્મ યુધ્ધ-કર્મ યુધ્ધની લડત સાથે ધર્મરથ થકી અસ્મિતાની લડાઈને આગળ ધપાવી છે.
આજે આશાપુરા મંદિરેથી જય ભવાની-જય રજપૂતાનાનાં નાદ સાથે ધર્મરથને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ધર્મરથ રાજકોટ શહેર સહિત જિલ્લાભરના તાલુકા- ગામડે ગામડે ફરી ભાજપ ઉમેદવાર પરસોતમ રૂપાલાને કારમી હાર અપાવવા સર્વે સમાજને આહવાન કરશે.
રાજકોટના આશાપુર મંદિરે આજે સજજડ પોલીસ બંદોબસ્ત સાથે સંકલન સમિતિનાં પી.ટી. જાડેજા સહિતના આગેવાનો ભાઈઓ-બહેનોએ ‘ક્ષત્રિય અસ્મિતા આંદોલન’ ધર્મરથનું પૂજન-અર્ચન કર્યા બાદ વિધિવત રીતે રથને પ્રસ્થાન કરાવ્યું હતું.
સમગ્ર રાજયમાં ભાજપના ઉમેદવારો વિરૂધ્ધ મતદાન કરવાની નેમ સાથે પાર્ટ-2માં હવે ધર્મયુધ્ધ-કર્મયુધ્ધની લડાઈ શરૂ થઈ છે. રાજયમાં ક્ષત્રિય સમાજનાં કુલ 7 રથોનું પરિભ્રમણ થશે વિખ્યાત અંબાજી મંદિર, કચ્છ માતાના મઢ, ગુજરાતમાં બહુચરાજી, રાજકોટના આશાપુરા મંદિર સહિત 7 સ્થળેથી 7 ધર્મરથ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. જેમાં રાજકોટ આશાપુરા મંદિરેથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે.
આ ધર્મરથ રાજકોટ શહેર બાદ કુવાડવા, ખેરવા, વાંકાનેર, મોરબી સહિતના સ્થળોએ ફરશે જેમાં તમામ તાલુકા ગામડાઓનો સમાવેશ થાય છે. તાલુકા મથકોએ રથ યાત્રા દરમિયાન સંમેલન યોજી સર્વે સમાજનું સમર્થન મેળવાશે. ગામડે-ગામડે ધર્મ રથનું સ્વાગત કરાશે.
ધર્મરથ યાત્રામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાશે. સાથે રાજકોટ સંસદીય મત ક્ષેત્રમાં લડાઈ હવે ધર્મયુધ્ધમાં ફેરવાશે. કાયદાની મર્યાદામાં રહી ભાજપના ઉમેદવારોને હરાવવા ક્ષત્રિય સમાજે પ્રણ લીધા છે તેને ઉજાગર કરાશે. સમાજની બહેન-દીકરીઓ વિશેની ટીપ્પણી ક્ષત્રિય હવે સાંખી લેવા તૈયાર નથી. ક્ષત્રિય સમાજની સ્વાભિમાન-અસ્મિતાની લડાઈમાં સર્વે સમાજનું સ્વયંભૂ સમર્તન મળી રહ્યું છે.
રાજકોટ આશાપુરા મંદિરમાં આજે સવારે જય ભવાની, જય રજપૂતાના, ક્ષત્રિય એકતા ઝીંદાબાદ, વંદે માતરમ્ના જય ઘોષ સાથે ધર્મ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ધર્મ રથ તાલુકા અને ગામે-ગામે ફરી વળશે.
કાયદાના ઉલ્લંઘન કર્યા વિના શાંતિથી ભાજપ વિરૂધ્ધ મતદાન માયે ધર્મ યુધ્ધ છેડવામાં આવ્યું છે. આજના દિવસે ઠેર-ઠેર સ્થળે ધર્મરથ યાત્રાને સ્વયંભૂ સમર્થન સાંપડયું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy