(જીગ્નેશ ભટ્ટ)
મોરબી તા.15
મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિર બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે દરમિયાન નદીના કાંઠે વધારાની જમીન ઉપર બાંધકામ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે જેથી આગામી સમયમાં સંસ્થા પાસે જ વધારાનું બાંધકામ તોડાવવામાં આવશે તેવું કલેક્ટરને પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું છે.
મોરબીમાં મચ્છુ નદીના કાંઠે ઝુલતાપુલ નજીક છેલ્લા ઘણા સમયથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિર બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને સંસ્થા દ્વારા મચ્છુ નદીના કાંઠે જે દિવાલ બનાવવામાં આવી છે તે દિવાલ ભવિષ્યમાં જોખમી બની શકે અને તેના કારણે હોનારત સર્જાય તેવી શક્યતા સાથે કલેકટરને અરજી કરવામાં આવી હતી.
જેથી કરીને કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર અને ડીએલઆરની એક ટીમ બનાવીને સ્થળ તપાસ કરી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો જે રિપોર્ટમાં ડીએલઆર દ્વારા સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે સંસ્થા દ્વારા વધારાની જગ્યા ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યુ છે કે, સ્થળ ઉપર બાંધકામના વર્તમાન નિયમો મુજબ બાંધકામ કરવામાં આવ્યું નથી.
જેથી આ બાબતે મોરબીમાં કલેક્ટર કે.બી, ઝવેરી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે સંસ્થાના પ્રતિનિધિ દ્વારા ગઈકાલે જ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી
અને તેમાં કહ્યું હતું કે, તંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવશે તે મુજબ તેમના દ્વારા કામગીરી કરવામાં આવશે જેથી સંસ્થાનો દિવાલ કે બાંધકામને લઈને કોઈ વિરોધ કે વિનંતી નથી માટે વધારાનું જે કોઈ બાંધકામ કરવામાં આવ્યું હશે તે સંસ્થા પાસે જ તોડાવવામાં આવશે અને મોરબી શહેર તથા તાલુકાના લોકોના હિતને ધ્યાનમાં રાખીને જ આગળની કાર્યવાહી કરાશે તેવું કલેકટરે જણાવ્યું છે.
♦મોરબી જિલ્લામાં ચોમાસામાં રોગચાળો રોકવા પૂર્વ આયોજન કરવા કલેક્ટરની તાકીદ
♦મચ્છર-પાણીજન્ય રોગચાળો ન ઉદ્ભવે એ માટે પાલિકા-તમામ તાલુકાને સૂચન
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.15
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લામાં સંચારી રોગ નિયમન માટે જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિની બેઠકનું જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
ચોમાસાની ઋતુ દરમિયાન જિલ્લામાં ક્લોરીનેશનેશનની કામગીરી યોગ્ય રીતે થાય, કોઈ રોગચાળો ઉદભવે જ નહીં તે માટે પૂર્વ તૈયારીઓ અને કામગીરી કરવા માટે જિલ્લા કલેક્ટરએ બેઠકમાં સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. અને કલેકટરએ મોરબી જિલ્લામાં મેલેરીયા સિઝનલ ફ્લૂ, પાણીજન્ય બીમારીઓ, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, ટાઈફોડ વગેરે રોગચાળાની સ્થિતિનો તાગ મેળવી જિલ્લામાં રોગચાળા સર્વેલન્સ અને રોગચાળા અટકાયતી પગલા, ક્લોરીનેશન, પાઇપલાઇન લીકેજની નોંધણી, શોધખોળ અને રીપેરીંગ બાબત તેમજ નગરપાલિકા વિસ્તારમાં પાવડર, જંતુનાશક દવાઓ વગેરેના સ્ટોક વગેરે બાબતે જરૂરી સૂચનો કર્યા હતા.
કોઈ રોગચાળો ઉદ્ભવે તે પહેલા જ હોમ ટુ હોમ સર્વે, દવા છંટકાવ તેમજ ફોગિંગ સહિતની કામગીરી કરવા પણ જિલ્લા કલેક્ટરએ સબંધિતોને સૂચના આપી હતી. તો ડીડીઓ જે.એસ. પ્રજાપતિએ ગામડાઓમાં આરોગ્ય ટીમ દ્વારા સર્વે કરી ગામ લોકોની મુલાકાત લઇ વિવિધ રોગચાળા અંગે જાગૃત કરવા જણાવ્યું હતું. ઉપરાંત ક્યાંય પાણી ભરાયેલું ન રહે અને સ્વચ્છતા જળવાય તે બાબત પર ભાર આપ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy