(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 2
સુરેન્દ્રનગરના રસ્તાઓ પર રખડતા પશુઓનો ત્રાસ છે. પાલિકા દ્વારા આવા રખડતા પશુઓને ડબે પુરવા છતાં રસ્તા પરથી પશુઓ દુર થતા નથી. ત્યારે શહેરના નવી હાઉસીંગ વિસ્તારમાં એક 87 વર્ષીય વૃધ્ધને રખડતા પશુએ ર ઢીંક મારી હતી.જેમાં વૃધ્ધને હાથે-પગે અને નાકે ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.
ગુજરાત હાઈકોર્ટે રખડતા પશુઓ બાબતે આકરી ટકોર કરી છે. હાઈકોર્ટની ગાઈડલાઈન હોવા છતાં સુરેન્દ્રનગર નગરપાલિકામાં રખડતા પશુઓનો ખુબ જ ત્રાસ છે. શહેરનો 80 ફુટ રોડ, શાક માર્કેટ રોડ, પતરાવાળી ચોક સહિતના વિસ્તારોમાં પશુઓનો રસ્તા પર અડીંગો જોવા મળે છે. શહેરમાં અનેકવાર રખડતા પશુઓએ લોકોને અડફેટે લીધા છે. રસ્તા પર યુધ્ધે ચડતા આ પશુઓ વાહનચાલકોને પણ અડફેટે લે છે. જેમાં 80 ફુટ રોડ પર તો રખડતા પશુઓને ડબે પુરવાનું કામ કરતા પાલીકાના કોન્ટ્રાકટ હેઠળના કર્મીને પશુએ ઢીક મારી હતી. જેમાં તેઓનું સારવાર દરમીયાન મોત થયુ હતુ. શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ આટલી હદે વધી ગયો હોવા છતાં પાલીકાના પેટનું પાણી હલતુ નથી. ત્યારે રખડતા પશુએ વૃધ્ધને અડફેટે લીધાનો બનાવ સામે આવ્યો છે.
આ અંગે મળતી માહીતી મુજબ શહેરની નવી હાઉસીંગ કોલોનીમાં રહેતા 87 વર્ષીય નવીનભાઈ જાની સવારના સમયે ઘરેથી નીકળી મંદીરે ચાલીને જતા હતા. ત્યારે જે.એન.વી.હાઈસ્કુલ પાસે એક આખલાએ નવીનભાઈને અડફેટે લઈ ર ઢીંક મારી હતી. જેમાં તેઓને હાથે-પગે અને નાકે ઈજા થતા સારવાર માટે સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયા હતા. જેમાં તેઓને ડાબા ખભે ફેકચર થયાનું નીદાન થયુ છે. આ બનાવથી તેમના પરીવારજનોમાં રોષ ફેલાયો છે. અને તેમના પુત્ર ચંદ્રેશભાઈ જાનીએ જણાવ્યુ કે, આ પાલીકાની ઘોર બેદરકારી છે. હાઈકોર્ટની ગાઈડલાઈનનું પણ શહેરમાં પાલન થતુ નથી. અને રસ્તા પર ખુલ્લેઆમ રખડતા પશુઓ લોકોને અડફેટે લે છે. આ બનાવમાં પાલીકા સામે કોર્ટના દ્વાર ખખડાવવાની પણ તેઓએ ચીમકી આપી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy