અમદાવાદ, તા.19
બિમાર બાળકની સારવાર કરવાના બદલે સામાજીક કાર્યક્રમમાં પહોંચી ગયેલા ડોક્ટરની બેદરકારીથી બાળકના મોતના કેસમાં ગ્રાહક અદાલતે જુનાગઢના તબીબને પાંચ લાખનું વળતર ચુકવવાનો આદેશ કર્યો છે.
આ કેસમાં ભાવેશ તથા જીજ્ઞા અઘેરા પોતાના નવ માસના સંતાન વનરાજને લઇને 14 ઓક્ટોબર-2013ના રોજ જુનાગઢના ડો. વિજય ભાલોડીયાની હોસ્પીટલે ગયા હતા. બાળકની હાલત ખરાબ હોવાથી તબીબે દાખલ કરવાની સલાહ આપી હતી અને વિવિધ ટેસ્ટ કરાવવા પ્રિસ્ક્રીપ્શન લખી દીધું હતું.
બાળકને લઇને દંપતિ બીજા દિવસે ફરી આવ્યું હતું અને હોસ્પીટલમાં દાખલ કરાયું હતું. બાળકને બાટલો ચડાવાયો હતો તે પુરો થાય પછી કેમ કાઢી લેવો તેવી સુચના આપીને ડોક્ટર નિકળી ગયા હતા. હોસ્પીટલમાં અન્ય કોઇ સ્ટાફ નથી. એકાએક બાળકની તબીયત બગડવા લાગી હતી ત્યારે દંપતિએ બાજુની હોસ્પીટલમાંથી મદદ માંગીને નર્સને બોલાવી હતી.
નર્સે ડોકટરનો સંપર્ક કર્યો હતો પરંતુ ડોક્ટર ભાવનગર જીલ્લાના ગામમાં પ્રસંગમાં હાજરી આપવા પહોંચી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. તબીબ દ્વારા બીજા બાળ નિષ્ણાંત મોકલવાની ગોઠવણ કરવામાં આવી હતી પરંતુ તેઓ પહોંચે તે પૂર્વે જ બાળકનું મૃત્યુ નિપજ્યું હતું.
આ મામલે બાળકના માતા-પિતાએ જીલ્લા ગ્રાહક પંચના દ્વાર ખખડાવ્યા હતા તેમાં નિષ્ફળતા મળતા રાજ્ય ગ્રાહક પંચમાં અપીલ કરી હતી. તબીબ દ્વારા એવો બચાવ કરાયો હતો કે બાળકને મોડો દાખલ કરાયો હતો અને બીજા તબીબની વ્યવસ્થા પણ કરી જ દીધી હતી.
રાજ્ય ગ્રાહક પંચે ચુકાદામાં તબીબની બેદરકારીની વાત સ્વીકારી હતી. બાળકની સારવાર માટે કોઇ વ્યવસ્થા કર્યા વિના પ્રસંગમાં પહોંચી ગયા હતા. હોસ્પીટલમાં કોઇ સ્ટાફ ન હોવા વિશે તેઓ વાકેફ હતા. બાળકને દાખલ કર્યા બાદ તેની મેડીકલ હીસ્ટ્રી પણ ચકાસી ન હતી.
ડો. ભાલોડીયાને પોતાને પ્રસંગમાં જવાનું હોવાની ખબર હતી એટલે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર હતી અથવા બાળકને દાખલ જ કરવો જોઇતો નહતો. કોઇપણ જાતની વ્યવસ્થા વિના બાળ દર્દીને છોડી દેવાયો હતો તે ગંભીર બેદરકારી જ છે. 2014થી 7 ટકાના વ્યાજ સાથે પાંચ લાખનું વળતર ચુકવવા ઉપરાંત કાનૂની ખર્ચ પેટે રૂા.10 હજાર આપવાનો પણ આદેશ કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy