રાજકોટ. તા.24
રાજકોટ અને ભચાઉમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર માળિયા મિયાણાના અનવર મોવર અને ઓસમાણ મોવરને ક્રાઈમ બ્રાન્ચે દબોચી રોકડ-દાગીના સહિત રૂ.2.47 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તસ્કરોએ રાજકોટમાં ભારતીનગર મેઈન રોડ પર વિશ્વેશ્વર મહાદેવના મંદિર પાસે એન્જીનીયરના મકાનમાંથી રૂ.4.48 અને ગાયત્રીધામ સોસાયટીમાં કર્મકાંડી પ્રૌઢના મકાનમાંથી રૂ.42 હજારના મુદ્દામાલની ચોરી તેમજ ભચાઉમાં વેપારીના મકાનમાંથી રૂ.47 હજારની મતાની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.
શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, એડી. સીપી વિધી ચૌધરી, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ ભરત બસિયાએ શહેરમાં થયેલ ચોરીના ગુના ડિટેકટ કરવાં આપેલ સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ એ.એન.પરમાર ટીમ સાથે ઘરફોડ ચોરીના ભેદ ઉકેલવા સીસીટીવી ફુટેજ અને હ્યુમન સોર્સથી તપાસમાં હતાં ત્યારે સાથેના એએસઆઈ જલદીપસિંહ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ ગોપાલ પાટીલને ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં થયેલ બે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ તસ્કરો માળિયા મિયાણા વિસ્તારમાં હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે અનવર અબ્દુલ મોવર (ઉ.વ.36) અને ઓસમાણ સલેમાન મોવર (ઉ.વ.46),( રહે. બંને ભરવાડા વાળા વાસ, જુસબપીરની દરગાહ પાસે, માળિયા મિયાણા) ને દબોચી તેમની પાસેથી ચોરી કરેલ રોકડ, દાગીના તેમજ ચોરીમાં ઉપયોગ લીધેલ ઓટો રીક્ષા સહિત રૂ.2.47 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી.
પૂછતાછમાં તસ્કરોએ અઠવાડિયા પહેલાં રાજકોટમાં ભારતીનગર મેઈન રોડ પર વિશ્વેશ્વરમહાદેવના મંદિર પાસે એન્જીનીયરના મકાનમાંથી રૂ.4.48 અને ગાયત્રીધામ સોસાયટીમાં કર્મકાંડી પ્રૌઢના મકાનમાંથી રૂ.42 હજારના મુદ્દામાલની ચોરી તેમજ ભચાઉમાં ફૂલવાડી વિસ્તારમાં વેપારીના મકાનમાંથી રૂ.47 હજારની મતાની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. વધું ચોરીના ભેદ ઉકેલવા તસ્કરોને રિમાન્ડ મેળવવા ક્રાઈમ બ્રાન્ચે તજવીજ હાથ ધરી હતી.
♦10 મિનિટની અંદર ચોરીને અંજામ આપી તસ્કરો નાસી છૂટતાં
ક્રાઈમ બ્રાન્ચે પકડેલા બંને તસ્કરોની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ગજબની ઝડપી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યા અનુસાર ચોરીના બનાવ બાદ ઘટનાસ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં બંને તસ્કરો મકાનમાં ચોરી કરવાં પ્રવેશ્યા બાદ માત્ર 10 મિનિટની અંદર ચોરીને અંજામ આપી નાસી છૂટતાં હોવાનું સામે આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
♣રાજકોટમાં થયેલ ચોરીનો મુદ્દામાલ લઈ મહારાષ્ટ્રનો શૈલેન્દ્ર નાસી છૂટ્યો: શોધખોળ
રાજકોટ. તા.24
રાજકોટ અને ભચાઉમાં થયેલ ઘરફોડ ચોરીના ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી માળિયા મિયાણાના બે શખ્સોને ઝડપી પાડ્યા બાદ પૂછતાછમાં બંને તસ્કરો સાથે મહારાષ્ટ્રનો શૈલેન્દ્ર નામનો શખ્સ પણ ચોરી કરવામાં સામેલ હતો અને ત્રિપુટી દિવસના સમયે જ ચોરીને અંજામ આપતાં તેમજ રાજકોટમાંથી ચોરી કરેલ મુદ્દામાલ મહારાષ્ટ્રનો શૈલેન્દ્ર લઈ નાસી છૂટ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે તેને શોધવા પણ ચક્રો ગતિમાન કર્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy